રાજકોટની સ્કૂલો ફી ન ભરે તેને ઓનલાઈન નહીં ભણાવે
કોરોનામાં શિક્ષણ આપતી સંશ્થાઓનો નિર્ણય : રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ફી બાબતે કોઈ વાત ન કરતા વાલીઓને ૧૫ ડિસેમ્બરની મહેતલ આપી
રાજકોટ, તા. ૩૦ : ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસે કહેર વરસાવાનું શરૂ કર્યું ત્યારથી બાળકોનો જીવ જોખમમાં ના મૂકાય એટલા માટે સરકારે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણની જાહેરાત કરી હતી. ગુજરાતના બાળકો પણ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એક મોટી જાહેરાત કરી છે. તેના અંતર્ગત જે વાલીઓએ વિદ્યાર્થીઓની ફી ભરી નથી તેઓને ઓનલાઇન શિક્ષણ અપાશે નહીં. આ અંગે સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે વિગતે વાત કરતાં જણાવ્યું કે કેટલાંક જ એવા વાલીઓ છે કે જેઓ ફી ભરવા માંગતા નથી, ફોન પણ ઉપાડતા અને ફી કેમ નથી ભરવી તે અંગે પણ જણાવવા માંગતા નથી તેમના બાળકો માટે જ આ નિર્ણય લેવાયો છે. હાલ શાળાઓ પણ અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે. બાળકનું શિક્ષણ ના બગડે એટલા માટે અમે છેલ્લાં ૭ મહિનાથી પ્રયાસ કરી રહ્યા છીએ. કેટલાંક એવા વાલીઓ પણ છે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સત્રની ફી એપ્રિલ મહિના સુધીમાં ભરી દેવાનું કહ્યું છે તેમના માટે આ નિયમ નથી. હું સ્પષ્ટ પણે કહું છે કે જે વાલીને ફી બાબતે મળવા પણ નથી આવું અને કંઇ કહેવું પણ નથી તે વાલીઓ માટે આ નિર્ણય રહેશે. જતીન ભરાડે કહ્યું કે આવા વાલીઓના યોગ્ય જવાબની ૧૫ ડિસેમ્બર સુધી રાહ જોઇશું. જો યોગ્ય જવાબ નહીં આવે તો અમે આ નિયમને લાગૂ કરી દઇશું.