રાજકોટ
News of Monday, 30th November 2020

ગોપાલનગરમાં રહેતાં અશોકભાઇનું ભાઇના ઘરે બેભાન થયા બાદ મોત

રાજકોટ તા. ૩૦: ભકિતનગર સર્કલ પાસે ગોપાલનગર-૧૦માં રહેતાં અશોકભાઇ તુલસીદાસ જોબનપુત્રા (ઉ.વ.૫૫) ગઇકાલે ગીતાનગરમાં પોતાના મોટા ભાઇ ચંદુભાઇના ઘરે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મૃત્યુ પામનાર અશોકભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં નાના તથા અપરિણિત હતાં. ઇમીટેશનનું કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. ભાઇના ઘરે અચાનક બેભાન થઇ જતાં મૃત્યુ થયું હતું. બનાવને પગલે પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સુમિતાબેન રામાણીએ પણ બેભાન હાલતમાં દમ તોડ્યો

બીજા બનાવમાં મોરબી રોડ ગોકુલધામ રેસિડેન્સીમાં રહેતાં સુમિતાબેન સુરેશભાઇ રામાણી (ઉ.વ.૩૬) ઘરે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

ગીતાનગરના અનિલભાઇનું પણ બેભાન હાલતમાં મોત

ગીતાનગર-૧માં રહેતાં અનિલભાઇ નટુભાઇ ખેર (ઉ.વ.૫૧) વહેલી સવારે ચારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક રિક્ષા હંકારતા હતા. સંતાનમાં બે પુત્ર છે. પોતે ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં.

(12:50 pm IST)