ગીરનાર રોપ-વે માં સાધુ સંતોને ફ્રી ટીકીટ આપો : કરણી સેનાએ માંગણી ઉઠાવી
યાત્રીક ટીકીટના ભાવ પણ અસહ્ય હોય ઘટાડવા આવેદન અપાશે : અન્યથા આંદોલન
રાજકોટ તા. ૩૦ : ગીરનાર પર્વત પર સાધુ સંતોની અનેક જગ્યાઓ આવેલી છે. ભારતભરમાંથી પણ સાધુ સંતો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે હાલ અંબાજી સુધી શરૂ કરવામાં આવેલ રોપ-વે માં સાધુ સંતોને ફ્રી ટીકીટ ઇશ્યુ કરવા રાજપૂત કરણી સેના દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.
કરણીસેના અધ્યક્ષ જે. પી. જાડેજાએ જણાવ્યુ છે કે આ બાબતે રોપ-વે માલીક કે જવાબદાર અધિકારીઓ સાથે બેઠક કરી સનાતન ધર્મપ્રેમીજનોની લાગણીથી અવગત કરાશે. તેમછતા જો રોપ વે કંપની મનમાની કરશે તો કરણી સેના દ્વારા આંદોલન હાથ ધરાશે.
ટીકીટના દર વધુ હોવાની બુમો પણ લોકોમાં ઉઠી છે. ત્યારે યાત્રાળુઓની ટીકીટના દર પણ પ્રમાણસર કરવા કરણીસેના દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.
આ બાબતે રોપ-વે અીધકારીઓ સુધી અવાજ પહોંચાડવા સોશ્યલ મીડિયામાં વીડીયો વાયરલ કરાયો છે. તેમજ આ બાબતે ટુંક સમયમાં જુનાગઢ કલેકટરશ્રીને પણ આવેદનપત્ર અપાશે. અઠવાડીયાની મહેતલ અપાશે અને તેમ છતા કોઇ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો અન્ય સંગઠનોનો સાથ લઇ કરણી સેના આંદોલનના મંડાણ કરશે. તેમ કરણી સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ જે. પી. જાડેજા (મો.૯૮૨૫૩ ૦૦૦૯૭) એ એક યાદીમાં જણાવ્યુ છે.