ખેડૂતોનાં કાયદા વિરૂધ્ધ કાલે સવારથી કોંગ્રેસનાં ધરણા
ત્રિકોણ બાગ ખાતે ધરણા માટે ૧૦૦ વ્યકિતઓને બેસવાની મંજૂરી માંગતાં મહેશ રાજપૂતઃ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા-એ. આઇ. સી. સી. નાં સેક્રેટરી રાજીવ સાતવ ખાસ ઉપસ્થિત રહેશે
રાજકોટ તા. ૩૦ :.. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે અમલી બનાવેલ કૃષિ બિલને વિપક્ષ કોંગ્રેસ કાળો કાયદો ગણાવી તેનાં વિરોધમાં આવતીકાલે રાજકોટનાં ત્રિકોણ બાગ ખાતે ધરણાનું આયોજન કરાયુ છે.
આ અંગે કોંગ્રેસનાં પ્રદેશ અગ્રણી મહેશ રાજપૂતે જણાવ્યા મુજબ આવતીકાલે તા. ૩૧ ઓકટોબરને શનિવારે ત્રિકોણ બાગ ખાતે શ્રી ઢેબરભાઇની પ્રતિમાં પાસે શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોનાં કાયદાનો વિરોધ કરવા કાલે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી ધરણા-પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ ધરણામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા ત્થા એ. આઇ. સી. સી. નાં જનરલ સેક્રેટરી રાજીવ સાતવ ખાસ હાજરી ઉપરાંત ૧૦૦ જેટલા કાર્યકરો અને આગેવાનો જોડાશે. આ ધરણા યોજવા માટે મહેશભાઇ રાજપૂતે પોલીસ કમિશનરશ્રી પાસે મંજૂરી માંગી હોવાનું તેઓએ એક યાદીમાં જણાવ્યું છે.