હરીનગરમાં કરીયાવર બાબતે બંસીબેન કોટડીયાને પતિ, સાસુ, સસરાનો ત્રાસ
પતિ પુજન, સાસુ હિનાબેન અને સસરા અનિલભાઇ સામે ગુનો
રાજકોટ,તા. ૩૦: દોઢ સો ફુટ રોડ રૈયા ટેલીફોન એકસચેન્જ પાછળ હરીનગરમાં વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને પતિ દારૂ પી મારકૂટ કરી અને સાસુ-સસરા કરિયાવર બાબતે મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ દોઢ સો ફુટ રોડ ઇન્દીરા સર્કલ પાસે શ્રીજીનગર -૨માં માવતર ધરાવતા બંસીબેન પુજનભાઇ કોટડીયા (ઉવ.૩૩)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં રૈયા ટેલીફોન એકસચેન્જ પાછળ હરીનગર શેરી નં. ૨/ડીમાં આવેલ વ્રજ એપાર્ટમેન્ટ -ફલેટ નં. ૨૦૨માં રહેતા પતિ પૂજન કોટડીયા, સાસુ હિનાબેન કોટડીયાના નામ આપ્યા છે.
બંસીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના આશરે ૧૨ વર્ષ પહેલા પુજન અનીલભાઇ કોટડીયા સાથે લગ્ન થયા હતા.લગ્નબાદ પોતે પતિ,સાસુ અને સસરા સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા. લગ્ન બાદ છ મહિના પોતાને સારી રીતે રાખેલ બાદ સાસુ કરિયાવર બાબતે મેણા ટોણા મારતા હતા. પતિ અને સાસુ ઘરની નાની નાની બાબતમાં ઝઘડો કરતા અને મારકૂટ કરતા હતા. પતિ દારૂ પીવાની તેમજ જુગાર રમવાની ટેવ હોઇ, જેથી અવાર -નવાર દેણુ કરતા ત્યારે દેણાના પૈસા પણ પોતે તથા પિતા ભરતા હતા.
પોતે બ્યુટી પાર્લર ચલાવતા અને પતિ ઘર ખર્ચના પૈસા પણ આપતા નહીં અને લગ્નના પાંચ વર્ષ પછી પોતે પ્રેગ્નેન્ટ હતા. ત્યારે પણ સાસુ ઝઘડો કરી આરામ પણ કરવા ન દઇ ત્રાસ આપતા હતા. જેથી પોતાને તેના માતા-પિતા ડીલેવરી માટે તેડી ગયા બાદ પુત્ર બે વર્ષનો થયો ત્યારે પોતે સાસરીયામાં ગયા હતા. સાસરીયામાં ગયા બાદ કરિયાવર લાવવા માટે દબાણ કરતા હતા. ત્યારે પોતે માવતરે જતા રહ્યા હતા. પુત્ર બે વર્ષનો થયો ત્યારે પતિ પોતાને તેડી ગયા અને કહેલ કે'આપણે અલગ જતા રહેશું'જેથી પોતે સમાધાન કર્યું હતુ અને આમ આઠ વર્ષ સાથે રહેલ બાદ પોતાના પિતાએ ફલેટ લઇ દેતા ૨૦૧૬માં પતિ સાથે ફલેટમાં રહેવા ગયા હતા. ત્યાં પણ પતિ નાની નાની બાબતમાં માથાકૂટ કરતા પરંતુ પોતાને ઘરસંસાર ચલાવવો હોય જેથી પોતે બધુ સહન કરતા હતા. ત્રણ વર્ષ પછી પોતે સાસુ-સસરાને સાથે રહેવા લઇ આવ્યા બાદ છ માસ સારી રીતે રહ્યા બાદ પોતે માવતરે આટો મારવા ગયા ત્યારે પતિ દારૂ પીને આવી પોતાના માતા-પિતા સાથે ઝઘડો કરી મારકૂટ કરેલ અને પિતા ઉપર પણ હાથ ઉપાડ્યો હતો અને કહેલ કે 'મારે તુ જોઇતી નથી, તુ ઘરે આવીસ તો તને જાનથી મારી નાખીશ ' તેમ કહી જતા રહ્યા બાદ બીજા દિવસે પોતે સાસરીયામાં ગયા ત્યારે પતિ, સાસુ અને સસરાએ ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકતા પોતે માવતરે આવ્યા બાદ પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ આર.એ.મકવાણા તપાસ હાથ ધરી છે.