રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલા કેશુભાઇનું અમુલ્ય યોગદાન
રાજયના પૂર્વ મુખ્યમંત્રીને વિવિધક્ષેત્રના આગેવાનો, સંસ્થા-મંડળના પ્રતિનિધિઓ દ્વારા શ્રધ્ધા સુમન અર્પણ
રાજકોટ તા. ૩૦ : રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ સવદાસભાઇ પટેલનું અવસાન થતા વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ સંસ્થા મંડળોએ શ્રધ્ધા-સુમન અર્પણ કરેલ છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
ભંડેરી-ભારદ્વાજ-મિરાણી
ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે ભાજપના વરીષ્ઠ અગ્રણી અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના દુઃખદ અવસાન બદલ દુઃખ વ્યકત કરતા જણાવેલ છે કે પિતા સવદાસભાઇ અને માતા પુતળીબાઇના સંતાન એવા કેશુભાઇ પટેલ બાલ્યકાળ રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલા હતા. જનસંઘ અને ભાજપમાં તેમનું અમુલ્ય યોગદાન રહ્યુ. વિસાવદર જેવા ગામમાં માત્ર ૯ ધોરણ સુધીનો અભ્યાસ કરનાર કેશુભાઇ આગવી કોઠાસુઝ ધરાવતા અને મુખ્યમંત્રીપદ મેળવ્યા બાદ તેઓએ ગોકુળીયુ ગામ જેવી યોજનાઓ સાકાર કરી હતી. તેમની વિદાયથી મોટી ખોટ પડી હોવાનું શોક વ્યકત કરતા ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવેલ છે.
ખેડુત નેતા ચેતન રામાણી
રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્રના ખેડુત નેતા ચેતન રામાણીએ કેશુભાઇ પટેલને શ્રધ્ધા સુમન અર્પણ કરતા જણાવ્યુ છે કે તેમના હૈયે ખેડુતોનુ હીત સમાયેલુ હતુ. શહેરી ટોચ મર્યાદા દુર કરેલ તેમજ ૮ કલાક વિજળી તેમજ ટ્રેકટરને બળદગાડાનો દરજજો અપાવવામાં તેમનો સિંહફાળો રહ્યો હતો. અસામાજીકો સામે પણ લાલ આંખ કરી પાણીદાર વ્યકિતત્વ પુરવાર કર્યુ હતુ. તેમની વિદાયની કાયમી ખોટ વર્તાશે.
સોરાષ્ટ્ર રચનાત્મક સમિતિ
રચનાત્મક અભિગમ ધરાવનાર કેશુભાઇ પટેલની વિદાયથી આપણે જાહેર જીવનમાં કઇક અંગત ગુમાવ્યા. તેવો ભાવ વ્યકત કરી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના દેવેન્દ્રભાઇ દેસાઇ અને ઉષાકાંતભાઇ માંકડે ઉંડા શોકની લાગણી વ્યકત કરી છે.
મખસુખભાઇ જોષી
પૂર્વ શ્રમમંત્રી મનસુખભાઇ જોષીએ કેશુભાઇની ચિર વિદાય બદલ શોકાંજલી અર્પણ કરતા જણાવ્યુ છે કે રાજકોટ સુધરાઇમાં હું પ્રમુખ હતો ત્યારે કેશુભાઇ વિરોધપક્ષના નેતા હતા. આ રીતે સાથે કામ કરવાની તક મળેલી. તેઓની રચનાત્મક વિરોધ કરવાની નીતથી માન થઇ આવેલ. સરળ, સાલસ સ્વભાવના કેશુભાઇનો ખોટ કયારેય પુરી નહીં શકાય.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ
ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધનથી રાજયના વેપાર ધંધા ઉદ્યોગ જગતમાં શોકની લાગણી પ્રસરી હોવાનું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નટુભાઇ પટેલે જણાવેલ છે. તેઓએ શોકાંજલી અર્પતા જણાવ્યુ છે કે કેશુભાઇએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં વેપાર ઉદ્યોગના હિતમાં લીધેલા અગત્યના નિર્ણયોના કારણે આજે આ ક્ષેત્રએ હરણફાળ ભરી છે. જીસીસીઆઇ તેમને કયારેય વિસરી નહીં શકે.
રેસકોર્ષ પાર્ક
રાજકોટના રેસકોર્ષ પાર્કના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલે કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યુ છે કે જનસંઘથી ભાજપ સુધી વિરાટ વટવૃક્ષની છાયા આપનાર કેશુભાઇ ગજબની કોઠાસુઝ ધરાવતા હતા. નાનામાં નાના કાર્યકર્તા સાથે ગજબનો નાતો કેળવી લેતા. ખરા માર્ગદર્શક તરીકે પણ હંમેશા પાર ઉતરતા. તેમનો ખાલીપો કયારેય નહીં ભરી શકાય.