પીપળીયામાં વાડીએ બેભાન થઇ જતાં ગોરધનભાઇ રોળીયાનું મોત
રૂખડીયાપરાના રમેશભાઇએ પણ બેભાન હાલતમાં દમ તોડ્યો
રાજકોટ તા. ૩૦: કુવાડવાના પીપળીયા ગામે રહેતાં ગોરધનભાઇ જીવાભાઇ રોળીયા (કોળી) (ઉ.વ.૪૫) પોતાની વાડીએ હતાં ત્યારે અચાનક બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ કુવાડવા પોલીસને જાણ કરતાં એએસઆઇ એન. આર. વાણીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર છે. પોતે પાંચ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં અને ખેત મજુરી કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. બીજા બનાવમાં રૂખડીયા પરા ફાટક પાસે રહેતાં રમેશભાઇ મહાદેવભાઇ આદ્રોજીયા (દેવીપૂજક) (ઉ.વ.૪૭) બિમાર હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડાએ પ્ર.નગરમાં જાણ કરતાં એએસઆઇ કનુભાઇ માલવીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્રી અને ચાર પુત્ર છે.