ગંજીવાડામાં આઠ દિ' પહેલા જ ભાઇના ઘરે આવેલા રાજાવડલાના રંજનબેનનો ફાંસો ખાઇ આપઘાત
ત્રીજા માળે દિકરી માતાને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવ્યો : કારણ જાણવા તપાસ
રાજકોટ,તા. ૩૦: ગંજીવાડામાં આઠ દિવસ પહેલા ભાઇના ઘરે રોકાવા આવેલી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં. ૩૨માં ભાઇના ઘરે આવેલા રંજનબેન મુકેશભાઇ ધોળકીયા (ઉવ.૩૨)એ મકાનના ત્રીજા માળે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. ૮ાા વર્ષની દીકરી બોલાવવા જતા માતાને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા પરિવારજનો દોડી આવ્યા હતા અન. તાકીદે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા મહિલાનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ. ભરતભાઇ સોલંકી તથા કોન્સ. રૂતુરાજસિંહ સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક રંજનબેન જસદણના રાજાવડલા ગામે સાસરીયુ ધરાવતા હતા. તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. આઠ દીવસ પહેલા તે તેની ૮ાા વર્ષની દીકરી સાથે રાજકોટ ભાઇના ઘરે રોકાવા માટે આવ્યા હતા. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.