ખુનના ગુનામાં પકડાયેલ આરોપીની ''ચાર્જશીટ'' બાદની જામીન અરજી નામંજુર
રાજકોટ તા. ૩૦: હત્યા કેસના આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.
ગત તા. ૮-૩-રર ના રોજ આજી વસાહત જી.આઇ.ડી.સી. મેઇન રોડ ઉપર થયેલ હત્યાના ગુન્હામાં આરોપી ફીરોજ ઉર્ફે ફીરો સિકંદરભાઇ બેલીમ એ જેલમાંથી ચાર્જશીટ પછી જામીન ઉપર છુટવા જામીન અરજી કરેલ.
સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીઓએ સાવ નજીવી બાબતમાં ખુન કરી નાખેલ છે. મરણજનાર સલીમભાઇ ઉર્ફે સાજીદભાઇ કુરેશીએ આ ગુન્હાના અન્ય આરોપીઓએ રસ્તે જતા ભૈયા લોકોનો મોબાઇલ લઇ લીધેલ તે મોબાઇલ મરણ જનારે આરોપીઓ પાસેથી પાછો લઇ ભૈયા લોકોને આપી દીધેલ તે બાબતનો ખાર રાખી આરોપીએ ભેગા મળી મરણજનારને છરી ધોકા વડે માર મારી હત્યા કરેલ છે આવા આરોપીને જામીન આપવા જઇએ નહીં.
આ રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી યુ. ટી. દેશાઇએ આરોપીની જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.