શનિવારે વોર્ડ નં. ૪-૫-૬નો સંયુકત સેવા સેતુ કાર્યક્રમઃ તૈયારીની મીટીંગ યોજાઇ
મનપા દ્વારા અટલ બિહારી વાજપાઇ ઓડીટોરીયમ ખાતે
રાજકોટ,તા. ૩૦ : મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૨ને શનિવારના રોજ વોર્ડ નં.૪-૫-૬માં રહેતા શહેરીજનોના લાભાર્થે ૮-મા તબકકાના ‘સેવાસેતુ'નો કાર્યક્રમ સવારે ૯ કલાકે શ્રી અટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમ ખાતે યોજાનાર છે. જેના અનુસંધાને વોર્ડ નં.૪-૫-૬ ના કોર્પોરેટરો, શહેર સંગઠનના હોદ્દેદારો સાથે મિટીંગનું આયોજન કરવામાં આવેલ.
આ મિટીંગમાં ગુજરાત રાજયના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં મંત્રી અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે.કમિશનર આશિષકુમાર તથા વોર્ડ નં.૪-૫-૬ ના કોર્પોરેટરો અને વોર્ડ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ.
સૌપ્રથમ મંત્રી અરવિંદભાઈ રૈયાણીનું પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું.
આ મિટીંગમાં મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવેલ કે, વધુમાં વધુ લોકો સેવાસેતુમાં જોડાય અને સરકારની અનેક યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે માટે વોર્ડના તમામ કોર્પોરેટરો સંગઠનના હોદેદારો અને કાર્યકર્તાઓ ચિંતા કરે તેવી તેમણે અપીલ કરેલ તેમજ આરોગ્ય માટેની સરકારની આયુષ્યમાન યોજનાનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે નાગરિકોને જાણકારી આપવા અંતમાં જણાવેલ.