રાજકોટ
News of Tuesday, 30th June 2020

ગુજરાતના ૮૦ હજાર વકિલોને માસીક ૧પ થી રપ હજાર ચુકવો અથવા ''પ્રધાન મંત્રી આત્મનિર્ભર યોજના''માં સમાવેશ કરો

નજીકના સમયમાં કોર્ટો શરૂ થઇ શકે તેમ ન હોય વકિલોની કફોડી સ્થિતિ :રાજકોટ બાર એસો.ના સેક્રેટરી જીજ્ઞેશ જોષી દ્વારા ચીફ જસ્ટીસને અરજીઃ વકીલો અન્ય કોઇ ધંધો-નોકરી કરી શકતા નથી ત્યારે વકીલો માટે વિચારોઃ અરજીને સુઓમોટો ગણી કાર્યવાહી કરવા માંગણી

રાજકોટ તા. ૩૦: રાજકોટ બાર એશો.ના સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષીએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીશ્રીને એક અરજી પાઠવીને હાલની પરિસ્થિતિમાં વકીલોને આર્થિક સહાય અંગે યોગ્ય નિર્ણય કરવા અન્યથા સુઓમોટો હેઠળ લઇ વડાપ્રધાનશ્રીની આત્મનિર્ભર યોજનામાં સમાવેશ વકીલોનો સમાવેશ કરવાનો સરકારશ્રીને આદેશ કરવા રજુઆત કરવામાં આવેલ છે.

ગુજરાત હાઇકોર્ટ સોલા રોડ, અમદાવાદ ખાતે રાજકોટના એડવોકેટ ડો. જીજ્ઞેશ એમ. જોષી દ્વારા એક અરજી કરવામાં આવેલ અને આ અરજીને ધ્યાને લઇ સુઓ મોટો એકશન લેવાની માગણી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવેલ કે :- હાલ અમો અરજદાર છેલ્લા ૧૦ વર્ષથી વકીલાતનો ગરીમાપુર્વક વ્યવસાય કરીએ છીએ. સમગ્ર દેશમાં માર્ચ ર૦, ર૦ર૦ થી કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિની અમલ બનેલ છે અને જેના કારણે સમગ્ર દેશની તેમજ તાબાની તમામ રાજયોની કોર્ટો બંધ છે. આ ઉપરાંત આશરે છેલ્લા ૩ મહિનાથી વકીલાતનો વ્યવસાય બંધ હોય રાજય અને દેશના તમામ વકીલોની તમામ પ્રકારની આવક બંધ થઇ ગયેલ છે. એડવોકેટ એકટની કલમ ૩પ મુજબ વકીલો કોઇપણ જાતનો બીજો ધંધો કે વ્યવસાય કરી શકતા નથી જે મુજબ પ્રવર્તમાન કોરોના કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જતી જોતા આગામી ડીસેમ્બર માસ સુધી કોર્ટો રાબેતા મુજબ શરૂ થવાની હાલ કોઇ શકયતા જણાતી નથી.

ઉપરોકત તમામ પરિસ્થિતીઓને ધ્યાને લેતા આપશ્રી પાસે અમારી અરજીને ધ્યાને લઇને નીચે મુજબ માગણી છે. આપ દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં ૮૦,૦૦૦ થી વધુ ધારાશાસ્ત્રીઓની આ પરિસ્થિતિને ધ્યાને લઇને તમામ વકીલશ્રીઓને જયાં સુધી કોર્ટ ચાલુ ન થાય ત્યાં સુધી આર્થીક સહાય ચુકવવામાં આવે તેવી વ્યવસ્થાની ભલામણ કરવામાં આવે અથવા તો ''પ્રધાનમંત્રી આત્મનીર્ભર યોજના'' માં રાજયના તમામ વકીલશ્રીઓ સમાવેશ કરી અથવા તો રાજય સરકાર દ્વારા વકીલો માટે ખાસ કોઇ ''રાહત પેકેજ'' ની જાહેરાત કરવામાં આવે છે કે જેથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ ધારાશાસ્ત્રીઓને રૂ. ર,પ૦,૦૦૦/- થી રૂ. પ,૦૦,૦૦૦/- સુધીની લોન રાહત દરના વ્યાજે કોઇપણ પ્રકારની બેન્ક ગેરેન્ટી વિના આપવાની સુચના આપવામાં આવે.

ભવિષ્યમાં સારા વકીલો વકીલાતના વ્યવસાયમાં ટકી રહી પોતાનું અસ્તીત્વ જાળવી રાખી શકે તે માટે ઉપરોકત બાબતે સરકાર દ્વારા તાત્કાલીક પગલા લેવામાં આવે તેવી સુચના આપશ્રીની કક્ષાએથી આપવામાં આવશે તો જ સરકાર આ દિશામાં વિચારશે તેવું અમારૃં સ્પષ્ટ માનવું છે.

આ અમારી અરજીને સ્વય સજ્ઞાન (સુઓ મોટો) અરજી ગણી યોગ્ય કાર્યવાહી આપના સ્તરેથી કરવા અમારી લાગણી અને માગણી કરવામાં આવેલ છે.

એક નકલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત રાજય, ગાંધીનગર, કાયદામંત્રી શ્રી ગુજરાત રાજય, ગાંધીનગર, ચીફ જસ્ટીસ શ્રી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડીયા, ન્યુ દિલ્હી, ચેરમેન શ્રી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા ચેરમેન શ્રી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાને મોકલવામાં આવેલ છે. તેમ એડવોકેટ અને રાજકોટ બાર એસો.ના સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષી એ જણાવેલ છે.

(3:12 pm IST)