રાજકોટનાં બજરંગવાડી ખાતે બનેલ બનાવને વખોડી કાઢીએ છીએ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જી. એસો,ના પ્રમુખ સંજીવ ગુપ્તા
બજરંગવાડીમાં ત્રણ ગેરકાયદેસર બનાવેલ સિમેન્ટના સ્પીડ બ્રેકર જેસીબીની મદદથી દૂર કરાયા
રાજકોટ : શહેરના વોર્ડ નં-૨ના બજરંગવાડી શેરી નં-૯ માં સવારે ગેરકાયદેસર બનાવેલ સિમેન્ટના સ્પીડ બ્રેકર દૂર કરી તેની જગ્યાએ મંજુર થયેલ ડામરના સ્પીડ બ્રેકર બનાવતી વખતે શેરીના રહેવાસીઓ દ્વારા વર્ક આસી. ચિરાગ ચિત્રોડા પર હુમલો કરવામાં આવ્યો હતો, ચિરાગ ચિત્રોડાની ગંભીર હાલતને પગલે તેને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી સાંજે ૪ વાગ્યે રજા આપતા તમામ સિટી એન્જી.તથા ટેકનીકલ સ્ટાફ સાથે આ ઘટનાની મનપાના નાયબ કમિશનર ચેતન નંદાણીને રજુઆત કરવા આવેલ.
નાયબ મ્યુનિ. કમિશનરને રજુઆતમાં જણાવેલ કે, આ ઘટનાને પગલે કડક પોલીસ કાર્યવાહી કરાવવામાં આવે અને અત્યારે જ સાઇટ પર જઈને ગેરકાયદેસર બનાવેલ સિમેન્ટના સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવે.
રજૂઆતની ક્ષણોમાં જ નાયબ કમિશનરની સૂચનાથી સાંજે ૫:૪૫ વાગ્યે બજરંગવાડી શેરી નં ૯ માં ત્રણ અને બજરંગવાડી શેરી નં ૧૦ માં ત્રણ ગેરકાયદેસર બનાવેલ સિમેન્ટના સ્પીડ બ્રેકર જે.સી.બી. ની મદદથી શાંતિથી દૂર કરવામાં આવેલ. આ કામગીરી સમયે તમામ સિટી એન્જી. તેમજ તમામ ટેકનીકલ સ્ટાફ ઘટના સ્થળે હાજર રહ્યા હતા.
તમામ એન્જી. મિત્રો તેમજ કોર્પોરેશન વતી રાજકોટની જનતાને એક અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની રજુઆત હોય તો યોગ્ય કક્ષાએ રજુઆત કરી નિકાલ કરવો, હાથ ઉપડાવો એ નિવારણ નથી. મહેરબાની કરીને ભવિષ્યમાં આ પ્રકારના કિસ્સા ન બને.