સંતોષીનગર રેલ્વેફાટક પાસે વૃધ્ધ કાનાભાઇ ગેલોતનું બેભાન થઇ જતા મોત
અપરણિત વૃધ્ધ એકલવાયુ જીવન ગાળતા હતા
રાજકોટ, તા.૩૦: સંતોષીનગર રેલવે ફાટક પાસે નાગેશ્વર મંદિરની સામે વણઝારા વૃધ્ધનું બેભાન હાલતમાં મોત નીપજયું હતું.
મળતી વિગત મુજબ સંતોષીનગર રેલવે ફાટક પાસે નાગેશ્વર મંદિરની સામે એક અજાણ્યો વૃધ્ધ બેભાન હાલતમાં પડયો હોવાની જાણ કોઇએ ૧૦૮ને કરતા ૧૦૮ના ઇએમટી નીલેષભાઇએ તપાસ કરતા તેનું મૃત્યુ નીપજયું હોવાનું જણાતા પોલીસે જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પ્રનગર પોલીસ મથકના એએસઆઇ હરેશભાઇ રત્નોતર તથા રાઇટર રામજીભાઇ પટેલે સ્થળ પર પહોંચી વૃધ્ધની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. દરમ્યાન સંતોષીનગરમાં રહેતા પીરાજીભાઇ ગેલોતે પોતાના મોટાભાઇ કાનાભાઇ વીરાજીભાઇ ગેલોત (ઉ.વ.૭૦) હોવાનું જણાવ્યુ હતું. મૃતક વૃધ્ધ અપરણિત હતા. તે એકલવાયુ જીવન ગાળતા હતા. આ અંગે પ્રનગર પોલીસે કાર્યવાહી કરી હતી.