રાજકોટ
News of Wednesday, 30th May 2018

ધો.૧૦માં પુજીત રૂપાણી ટ્રસ્‍ટના છાત્રોનો ડંકોઃ સતત ૧૮માં વર્ષે ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો

વિજયભાઈ અને અંજલીબેને વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી

રાજકોટ,તા.૨૯: આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા પરંતુ ભણવામાં અત્‍યંત તેજસ્‍વી તેવા વિદ્યાર્થીઓને ધો.૮થી ધો.૧૨ સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિનામૂલ્‍યે પુરી પાડતી સંસ્‍થા શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્‍ટના ધો.૧૦ના લાભાર્થી છાત્રોએ તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ઉત્‍કૃષ્‍ટ ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી સતત ૧૮માં વર્ષે ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો જાળવી રાખ્‍યો છે. તમામ છાત્રોને મુખ્‍યમંત્રીશ્રી તથા ટ્રસ્‍ટના ચેરમેનશ્રી વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્‍ટી શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્‍ચ કારર્કિદી માટેની શુભેચ્‍છા પાઠવી છે.

ધો.૧૦ના વિદ્યાર્થીઓ પરમાર દેવેન, કટારીયા નંદીની, ડોડીયા મનન, સોલંકી આશિષ, માકડીયા કુસુમ, વડગામા સિધ્‍ધાર્થ, જેઠવા હિતેષ, વાઢેર ભાર્ગવ, પરમાર પ્રવિણ, અકબરી ભાર્ગવ, ધીયાડ ચાર્મી, રાદડીયા યશ, ખીમસુરીયા પૂર્વીશા, સવસેટા નેહા, માટીયા નેહા તથા થાળકીયા રોહિતએ ૯૯.૯૭ ટકા સુધી પર્સન્‍ટાઈલ રેન્‍ક મેળવેલ છે જે પૈકી પ્રથમ ૯ છાત્રોએ એ૧, ૬ છાત્રોએ એ૨ ગ્રેડ અને ૧ છાત્રએ બી૧ગ્રેડ મેળવી ટ્રસ્‍ટનું નામ રોશન કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે ટ્રસ્‍ટ દ્વારા દતક લેવાતા બાળકોને ધો.૮માં શહેરની શ્રેષ્‍ઠ સ્‍કૂલોમાં એડમિશન અપાવી તેમનો ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ જેવો કે સ્‍કૂલ ફી, પુસ્‍તકો, માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ, બુટ, મોજા, દફતર સહિતનો તમામ ખર્ચ ટ્રસ્‍ટ ભોગવે છે. ઉપરાંત ટ્રસ્‍ટમાં ગ્રુપ ટયુશનની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે, સ્‍કુલે જવા આવવા માટે સાયકલ પણ આપવામાં આવે છે તેમજ જરૂર પડયે વિનામૂલ્‍યે આરોગ્‍ય સારવારનો ખર્ચ પણ ટ્રસ્‍ટ ભોગવે છે. છેલ્લા ૧૮ વર્ષથી ટ્રસ્‍ટ દ્વારા ચલાવાતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટના શરૂઆતની બેચના લાભાર્થી છાત્રો હાલમાં ડોકટર, એન્‍જીનિયર, અધ્‍યાપક, ફાર્માસિસ્‍ટ સહિતની ડીગ્રીઓ મેળવી પગભર થઈ ચૂકયા છે તથા પોતાના પરિવારના તારણહાર બની ગયા છે.

વિદ્યાર્થીઓના ઘડતરની વ્‍યકિતગત કાળજી લેવા માટે ટ્રસ્‍ટી શ્રીમતિ અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અન્‍ય ટ્રસ્‍ટીઓ મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, અમિનેષ રૂપાણી, રાજેશભાઈ રૂપાણી, પ્રોજેકટ ઈન્‍ચાર્જ અરવિંદભાઈ બગડાઈ તથા કમિટી મેમ્‍બર્સ જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, સી.કે.બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્‍ના, ભારતીબેન બારોટ તથા હસુભાઈ ગણાત્રા જહેમત ઉઠાવે છે.

વિશેષ માહિતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન (૦૨૮૧) ૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(2:40 pm IST)