રાજકોટ
News of Wednesday, 30th May 2018

દરરોજ સત્સંગ કરવો, સત્સંગનું વાંચન કરવું : પૂ.મહંતસ્વામી

આજે સિદ્ધાંત દિવસ ઉજવાશે : BAPS મંદિરે દરરોજ સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પ

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પૂ. મહંતસ્વામી મહારાજે પ્રાતઃઆશીર્વચનમાં જણાવ્યું હતું કે, શ્નએક દિવસ પણ સત્સંગ ચૂકાય તો કુસંગ પેસે છે. રોજ સત્સંગ કરવો, સત્સંગ વાંચન કરવું. નિયમિત જેમ શારીરિક ક્રિયા કરીએ છીએ તેમ નિત્ય સત્સંગ કરવો. ભગવાનમાં અડગ નિશ્યય એ સત્સંગમાં મુખ્ય છે.

પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સમર્પણ દિન ઉજવાયો હતો. તેઓના જીવનપ્રાણ સમા એવા શ્રી હરિકૃષ્ણ મહારાજની સુવર્ણતુલા વિધિ કરવામાં આવી હતી. આ સુવર્ણતુલામાં પુરુષ-મહિલા સર્વ હરિભકતોએ યથાશકિત સેવા કરી હતી અને પોતાની હરિકૃષ્ણ મહારાજ પ્રત્યેની ભાવોર્મિ અને ભકિત અદા કરી હતી.

સાયંસભામાં તમામ હરિભકતોને આશીર્વચનમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, 'સમર્પણ એ આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે. માણસને જે કાંઈ પ્રાપ્ત થાય છે તે ભગવાનનું આપેલ છે અને તેમનું આપેલ જ તેમને પાછું આપવાનું છે, છતાં પણ જયારે તને, મને અને ધને સમર્પણની વાત આવે ત્યારે મન સંશય કરે છે. માટે સાચું સમર્પણ તે જ છે જે મન-કર્મ-વચને અને હૃદયની શુદ્ઘ પવિત્ર ભાવનાથી કરવામાં આવે. સમર્પણથી સ્વયં શ્રીજી મહારાજ તમારા બધાના હૈયા સોનાના કરી દેશે અને મોક્ષની પ્રાપ્તિ આપણને શુદ્ઘ પવિત્ર સંત તથા ભગવાન જ આપી શકે એમ છે.' સાથો સાથ પ.પૂ. મહંતસ્વામી મહારાજ સમીપ દર્શનનો અદભુત લાભ પ્રત્યેક હરિભકતોને સભાની અંદર પ્રાપ્ત થયો હતો. ૮૫ વર્ષની જૈફ વયે પણ પ.પૂ.સ્વામીશ્રીએ સતત એક કલાકથી પણ વધારે સમય બિરાજમાન થઈને છેલ્લામાં છેલ્લા હરિભકતને પોતાના સમીપ દર્શનથી કૃતાર્થ કર્યા હતા.

પૂ. મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં આજે સિધ્ધાંત દિન ઉજવવાઇ રહ્યો છે ત્યારે સાયંકાળે સભા દરમિયાન BAPS રાજકોટના શીશું તેમજ બાળકો દ્વારા 'શીશુ શાસ્ત્રાર્થ'ની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે તેમજ તેઓના આશીર્વચનનો લાભ પણ પ્રાપ્ત થશે.

આજથી દરરોજ સ્વામીશ્રીનાં રોકાણ સુધી BAPS સ્વામિનારાયણ મંદિરે સર્વરોગ નિદાન યજ્ઞ યોજવામાં આવશે. જેની અંદર રાજકોટના ૫૫ જેટલા વિખ્યાત નિષ્ણાંત ડોકટર દ્વારા તબીબી નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે.(૩૭.૫)

(1:03 pm IST)