દેવપરામાં બાઇક અથડાવા પ્રશ્ને અણીયારાના શૈલેષભાઇ જાદવને દસ શખ્સોએ માર માર્યો
રજપૂત યુવાન પર હુમલો થતા હાથ-પગમાં ફેકચર
રાજકોટ, તા.૩૦ : સોરઠીયાવાડી સર્કલ પાસે ખરીદી કરી અણીયારા ગામ જતી વખતે દેવપરાચોકમાં બાઇક અથડાવા પ્રશ્ને માથાકુટ થતા રજપૂત યુવાનને દસ શખ્સોએ ધોકા-પાઇપથી હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
મળતી વિગત મુજબ તાલુકાના અણીયારા ગામમાં રહેતો શૈલેષ અશોકભાઇ જાદવ (ઉ.વ.૨૩) ગઇકાલે પોતાનું બાઇક લઇને રાજકોટ સોરઠીયાવાડી સર્કલ પાસે ખરીદી કરવા માટે આવ્યો હતો. ખરીદી કરી પરત જતો હતો ત્યારે દેવપરા ચોકમાં એક બાઇક સાથે પોતાનુ બાઇક અથડાતા બંને વચ્ચે બોલાચાલી થયા બાદ અજાણ્યા બાઇક ચાલકે ફોન કરી બોલાવતા દસ જેટલા અજાણ્યા શખ્સોએ આવી શૈલેષને ધોકા અને પાઇપ વડે માર મારી હાથ અને પગમાં ફેકચર જેવી ઇજા કરી ભાગી ગયા હતા. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા ભકિતનગર પોલિસે તપાસ હાથ ધરી છે. શૈલેષ આજી વસાહતમાં કારખાનામાં મજૂરી કામ કરે છે. (૨૩.પ)