ઓમનગરમાં ચાર દિવસ પહેલા જ પરણેલી માનસી સરવૈયાનો ગળાફાંસો ખાઇ આપઘાત
માતા-પિતા મવડી અમરનગરમાં રહે છેઃ કારણ જાણવા તપાસ : હજુ તો હાથની મહેંદી પણ સુકાઇ નથી ત્યાં એવું તો શું બન્યું કે નવોઢાને જીવ આપવો પડયો?
આપઘાત કરનાર માનસીનો ફાઇલ ફોટો
રાજકોટ તા. ૩૦: દોઢસો ફૂટ રોડ પર ઓમનગરમાં ચાર દિવસ પહેલાજ પરણેલી નવોઢાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ પર આવેલ ઓમનગર શેરી નં. ર માં રહેતી માનસી ભાવીનભાઇ સરવૈયા (ઉ.વ. ર૪) સવારે પોતાના ઘરે ઉપરના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. સાસુ-સસરા જૂનાગઢ ગયા હોઇ નણંદ ઉપરના રૂમમાં ગઇ ત્યારે ભાભીને લટકતી હાલતમાં જોતા દેકારો મચાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને માનસીને તાકીદે નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તપાસનીસ તબીબે તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી. એન. મોરવાડીયા સહિતે સિવિલ હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક માનસીના માતા-પિતા મવડીના અમનગરમાં રહે છે. તેના ચાર દિવસ પહેલા ભાવીન સરવૈયા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તે પતિ, સાસુ, સસરા અને નણંદ સાથે રહેતી હતી. આજે સવારે પિતા સાથે ગોંડલ રોડ સૂર્યકાંત હોટલ પાસે રહેતા સંબંધીને ત્યાં ખબર કાઢવા માટે આવી હતી. ત્યાંથી નીકળ્યા બાદ ઓમનગર પોતાના ઘરે ગયા બાદ પગલું ભરી લીધું હતું. આ બનાવમાં નવોઢાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.