બિલ્ડર અગ્રણી આર. પી. જાડેજાએ આદર્યો સેવાયજ્ઞ : દરરોજ ૧ હજાર શ્રમિકને ભોજન
રાજકોટ તા. ૩૦ : પૂ. રણછોડદાસજી બાપુની આ પાવન પૂણ્ય ભુમિ હોય તો સખાવતમાં આપણે શા માટે પાછા પડવુ જોઇએ. આવો ભાવ વ્યકત કરતા શહેરના જાણીતા બિલ્ડર આર. પી. જાડેજાએ હાલ કોરોનાના કારણે સર્જાયેલ લોકડાઉનની સ્થિતી વચ્ચે મુશ્કેલીમાં મુકાયેલ શ્રમિકો માટે સેવા યજ્ઞ ચાલુ કરેલ છે.
આર.પી.જે. હોટલના માલીક આર.પી. જાડેજા દ્વારા દરરોજ એક હજાર શ્રમિકો માટે ભોજન તૈયાર કરાવવામાં આવી રહ્યુ છે. જેમાં શાક, રોટલી, ભાત, ખીચડી, બીરીયાની સહીતની વેરાયટી બનાવીને સૌને ભાવથી જમાવડવામાં આવી રહ્યા છે. તેમની પોતાની હોટલમાં જ આ શુધ્ધ અને સાત્વીક ભોજન સરકારની ગાઇડ લાઇન મુજબ તૈયાર કરાવવામાં આવી રહી છે.
તેમના પુત્ર અજયસિંહ જાડેજાના જણાવ્યા મુજબ આ રસોઇ તૈયાર થઇ જાય એટલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને બાંધકામ સાઇટ પરના શ્રમિકો તેમજ પરપ્રાંતિય લોકોને ભોજન કરાવી દેવાય છે. સાંજે ૫.૩૦ વાગ્યે જયા શ્રમિકો વસે છે તેવી વસાહતોમાં આ ભોજન પહોંચાડવામાં આવે છે.
લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી આ સેવાયજ્ઞ ચાલુ રાખવાનો ધ્યેય આર. પી. જાડેજાએ વ્યકત કર્યો છે.