રાજકોટ
News of Thursday, 29th October 2020

રાજકોટના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ પ્રશાંત જૈને પ્લાઝમા ડોનેટ કરી સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવ્યું

ન્યાય મંદિરમાં બેસી ન્યાય આપવાની સાથોસાથ કર્યુ સેવાનું કામઃ કોરોનાથી ગભરાવવાની જરૂર નથી, ગભરાશો તો માનસિક રીતે કમજોર થઇ જશો, તેનાથી વધુ તકલીફ પડશેઃ જજશ્રી જૈન

રાજકોટ,તા. ૨૯: 'કોરોના' આ ત્રણ શબ્દનો અક્ષર આજે સમગ્ર વિશ્વને હચમચાવી રહ્યો છે. પ્રત્યેક દેશ કોરોનાના સંક્રમણથી તેમના નાગરિકોને બચાવવા કોરોના રસીના સંશોધન માટે કટિબધ્ધ બની કાર્ય કરી રહ્યા છે, તેવા સમયે કોરોનાગ્રસ્ત લોકો માટે આશાનું કિરણ બની રહી છે પ્લાઝમા થેરેપી.

આજે વિશ્વના દેશો કોરોનાની રસી પાછળ નાણાંની સાથે સમય-શકિત ખર્ચી રહ્યા છે, તેવા સમયે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના લોકો પ્લાઝમા થેરાપી થકી કોરોનાગ્રસ્ત લોકોને નવજીવન આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આજે વાત કરવી છે, આવા જ એક ઉચ્ચ વૈચારિક શકિત ધરાવતા અને રાજકોટના ન્યાય મંદિરમાં એડિશનલ ડિસ્ટ્રીકટ જજના મહત્વપૂર્ણ હોદ્દા ઉપર કાર્યરત શ્રી પ્રશાંત જૈનની.

રાજકોટમાં રહેતા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ શ્રી પ્રશાંત જૈનને તારીખ ૧૦ મી સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ આવતા તેમણે હોમ કવોરન્ટાઈન થઈને મલ્ટી વિટામીન અને હોમિયોપેથીક દવાઓ શરૂ કરી, સાથો-સાથ નાસ અને હળદરવાળું દૂધ તેમજ ઉકાળા સહિત આયુર્વેદિક ઉપચાર પદ્ઘતિ પણ અપનાવી.

એડિશનલ ડિસ્ટ્રીકટ જજ શ્રી પ્રશાંત જૈન કોરોના સંક્રમણથી માંડીને કોરોનામુકત બની તેમણે કરેલા પ્લાઝમા ડોનેશનની વિગતે વાત કરતાં કહે છે કે, કોરોનાથી ગભરાવાની જરાય જરૂર નથી. તમે ગભરાશો તો માનસિક રીતે કમજોર થશો, અને જો માનસિક કમજોર થશો તો તમને વધુ તકલીફ પડશે.

મને જયારે કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે તરત જ મારા પરિવારના અન્ય લોકોને પણ મારી સાથે જ નાસ લેવા, ઉકાળા પીવા જેવા આયુર્વેદિક ઉપચાર પણ શરૂ કરાવ્યા હતા, જેના કારણે મારા પરિવારના અન્ય ત્રણ સદસ્યો અને મારા વયોવૃદ્ઘ સાસુ-સસરાને કોરોના પોઝિટિવ આવ્યો હોવા છતાં પણ તેઓ ખૂબ ઝડપથી તેમાંથી બહાર નીકળી શકયા છે. મારા સસરાને તો ડાયાબિટીસની બીમારી પણ હતી તેમ છતાં પણ તેઓ કોરોના સામેનો જંગઙ્ગ ઝડપથી જીતી ગયા.

કોરોનામુકત બન્યા બાદ પ્લાઝમા ડોનેટનો વિચાર કેવી રીતે આવ્યો ? તે બાબતે જજ શ્રી પ્રશાંત જૈન કહે છે કે, મારા ઘર પાસે જ એનેટોમી ડિપાર્ટમેન્ટમાં લેકચરર તરીકે ફરજ બજાવતાં ડોકટર સોનલ રહે છે. તેમણે મને પ્લાઝમા ડોનેટ કરવા બાબતે પૃચ્છા કરતા મને થયું કે મે અત્યાર સુધીમાં અનેક વાર બ્લડ ડોનેટ કર્યું છે તો આ વખતે લોકોને કોરોનામુકત બનાવવા માટે પ્લાઝમા પણ ડોનેટ કરૂ. અને મે આ વિચારને અમલમાં મૂકી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જઈને પ્લાઝમા ડોનેટ કરી મારું સામાજિક ઉત્ત્।રદાયિત્વ નિભાવ્યું છે.

કોરોનાની મહામારીથી ગભરાઈ રહેલા લોકોને પ્રેરક સંદેશ આપતા તેઓ કહે છે કે, કોરોનાના કારણે થોડી કમજોરી જરૂર આવી જાય છે, પણ લોકોએ ગભરાવાની જરાય જરૂર નથી. કોરોનાથી જો બચવું હોય તો પ્રત્યેક વ્યકિતએ સાવચેતી રાખવી જરૂરી છે. આ ઉપરાંત નાસ લેવો તથા આયુર્વેદિક ઉપચાર પદ્ઘતિ તેમજ હોમિયોપેથી દવા દ્વારા કોરોનાને અવશ્ય હરાવી શકાય છે.

કોરોના મહામારીથી લોકોને બચાવવા આજે જયારે સમગ્ર વિશ્વ કાર્ય કરી રહ્યું છે, એવા સમયે ગુજરાતમાં વસતા પ્રત્યેક વ્યકિત કોરોના સામેની લડાઈમાં કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા અદા કરી કોરોના મુકત ગુજરાત - ભારતની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે.

(1:17 pm IST)