વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે રાજકોટથી ર૦૦ એસટી બસ અમદાવાદ મોકલાઇઃ ૧૦૦ થી વધુ રૂટ કેન્સલ
આમ છતા સેંકડો મુસાફરોને ભારે હાલાકી : હાઇવે ઉપરના પોઇન્ટ ટુ પોઇન્ટ વાળા રૂટ રદ કરાયાઃ વિદ્યાર્થીઓ માટે ગામડાના રૂટને ઓછી અસર અપાઇ
રજકોટ, તા., ૨૯: ભારતના વડાપ્રધાન આજથી બે દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાતના પ્રવાસે છે. આજે અમદાવાદ ખાતે ભવ્યાતિભવ્ય નેશનલ ગેમ્સ ઉદ્ઘાટન-કરોડોના લોકાર્પણ સંદર્ભે મેદની એકઠી કરવા ર હજાર જેટલી એસટી બસો બુક કરાઇ છે.
દરમિયાન રાજકોટ એસટી ડીવીઝને પણ ડ્રાઇવરો સાથે ૨૦૦ જેટલી એસટી બસો આજના દિવસ માટે ગઇકાલે રવાના કરી હતી. પરીણામે રાજકોટ ડીવીઝન દ્વારા ગ્રામ્ય અને હાઇવેના ૧૦૦ થી વધુ રૂટ રદ કરી નાખતા સેંકડો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
જો કે અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે મુસાફરોને ઓછી તકલીફ પડે તે સંદર્ભે હાઇવે ઉપરના પોઇન્ટ ટુ પોઇન્ટ વાળા રૂટ કરાયા છે. વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે ગામડાના રૂટને ઓછી અસર અપાઇ છે. હાલ એસટીની આવક વધી છે. નવરાત્રીના કારણે આવકમાં વધારો થતા ડીવીઝનની રોજની આવક ૪૮ લાખે પહોંચી છે.