માર્કેટીંગ યાર્ડ-લાલપરી નદીના કાંઠે ખુની હુમલાના ગુનામાં આરોપીના જામીન નામંજુર
રાજકોટ તા. ર૯: અહીંના માર્કેટીંગ યાર્ડ પાસે ગાર્ડન રેસ્ટોરન્ટના પાણીના ભાગે લાલપરી નદીના કાંઠે તલવાર વડે ઇજા કરવા અંગે પકડાયેલ ઇમરાન ઉર્ફે ટકો કારૂભાઇ સુલ્તાન નારેજાએ જામીન પર છુટવા કરેલ અરજીને સેસન્સ કોર્ટે રદ કરી હતી.
આ બનાવ અંગે રૂખડીયાપરા નકલંગપરામાં રહેતા અયુબભાઇ ફકીરમામદે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતમાં જણાવ્યા પ્રમાણે આ કામના આરોપી અને સાહેદ ભરતસિંહ રાણા સાળો-બનેવી થતાં હોય અન્ય સાહેદ અજય સોલંકીને અગાઉ ભરતસિંહ માર મારેલ હોય જે અંગે માથાકુટ થતાં તા. ૧૮-૭-ર૦નાં રોજ ઉપરોકત સ્થળે સમાધાન માટે ભેગા થતાં ગાળાગાળી થતાં આરોપી ઇમરાને સાહેદ ફિરોજને તલવાર વડે ઇજા કરી હતી અને અન્ય આરોપીઓએ મદદગારી કરીને માર મારેલ હતાં.
આ બનાવ અંગે પોલીસે અયુબ મિયાણાની ફરિયાદ લઇને ગુનો દાખલ કરતાં આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરતાં આરોપી ઇમરાને જામીન પર છુટવા અરજી કરી હતી.
આ અરજીના વિરોધમાં સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ રજુ કરેલ દલીલો અને આધાર-પુરાવાને ધ્યાને લઇને એડી. સેસ. જજ શ્રી વોરાએ આરોપીની જામીન અરજી રદ કરી હતી.
આ કામે સરકારપક્ષે એ.પી.પી. શ્રી બિનલબેન રવેશીયા રોકાયા હતાં.