ચોમાસાની વિદાયના શ્રીગણેશ
રાજસ્થાન અને પંજાબના અમુક ભાગોમાંથી વિદાય : હજુ વધુ ભાગોમાંથી વિદાય લેશે : સૌરાષ્ટ્રના સિમિત વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટા પડશે : અશોકભાઈ પટેલ
રાજકોટ, તા. ૨૮ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે, નોર્થ વેસ્ટ ઈન્ડિયાના પશ્વિમ ભાગોમાં નીચલા લેવલે એન્ટી સાયકલોન ઉભુ થયેલ છે. તેમજ ભેજની માત્રા ઘટી ગઈ છે અને તે વિસ્તારમાં વરસાદ પણ નથી તેથી આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાયનું પ્રથમ પગલુ ભરેલ છે. જેમાં પશ્ચિમ રાજસ્થાન અને પંજાબના થોડા ભાગોમાંથી આજે વિદાય લીધી છે. વિદાયની ચોમાસુ રેખા અમૃતસર, ભટીંડા, હનુમાનગઢ, બિકાનેર અને જેસલમેર અને ત્યાંથી ૨૬ ડિગ્રી નોર્થ અને ૭૦ ઈસ્ટ ઉપર છે.
દક્ષિણ - પશ્ચિમ ચોમાસાની વિદાયના પરીબળો સાનુ કૂળ હોય રાજસ્થાન પંજાબના થોડા વધુ ભાગો તેમજ પંજાબ, હરિયાણા દિલ્હી, યુ.પી.ના ભાગોમાંથી વિદાય લેશે.
બે થી ત્રણ દિવસ બાદ નોર્થ બંગાળની ખાડીમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છવાશે. તેમજ મહારાષ્ટ્ર દરિયાકિનારા નજીક અરબી સમુદ્રમાં ૩.૧ કિ.મી.માં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છવાશે. હાલમાં સૌરાષ્ટ્ર - કચ્છ ગુજરાતમાં ૩.૧ કિ.મી.ના લેવલે ભેજનું પ્રમાણ ઓછુ થયુ છે અને ભેજ હવે બે કિ.મી.ના લેવલ સુધી છે.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૨૮ થી ૫ ઓકટોબર સુધીની આગાહી કરતાં જણાવેલ કે ચોમાસુ વિદાય ચાલુ થયેલ હોય ક્રમશઃ રાજસ્થાન બાદ કચ્છ અને ઉ.ગુજરાત બાદ ક્રમશઃ સૌરાષ્ટ્ર અને મ.ગુજરાતનો વારો આવશે. આગાહી સમયમાં કોઈ મોટો વરસાદ નથી. (દ.ગુજરાતને બાદ કરતાં) આગાહી સમયના બે થી ત્રણ દિવસ સિમિત વિસ્તારમાં છુટાછવાયા ઝાપટા પડશે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં શકયતા વધુ છે.