ઋતુજન્ય રોગચાળો અટકાવવા એકશન પ્લાન ઘડાયો
ખાડા બુરી દેવાશે - પાણીના ખાબોચિયામાં દવા છંટકાવ - જાહેર સ્થળોએ ઘનિષ્ઠ સફાઇ કરવી અને ફરિયાદોનો તાત્કાલીક નિકાલ લાવવા અધિકારીઓને સુચના આપતા મેયર બીનાબેન, ડે.મેયર અશ્વિનભાઇ, સ્ટે. ચેરમેન ઉદયભાઇ
રાજકોટ તા. ૨૯ : શહેરમાં ઋતુજન્ય અને મચ્છર જન્ય ડેન્ગ્યુ - મેલેરિયા સહિતનો રોગચાળો બેકાબુ બન્યો છે ત્યારે તેના નિયંત્રણ માટે ખાસ એકશન પ્લાન ઘડાયાનું મેયર બીનાબેન આચાર્યએ એક યાદીમાં જણાવ્યું છે.
મેયરની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, ચોમાસની ઋતુ દરમ્યાન રોગચાળાના નિયંત્રણ માટે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને આરોગ્ય, મેલરીયા, સેનિટેશન અને ફૂડ વિભાગ સાથે મીટીંગ યોજાયેલ. આ મીટીંગમાં ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડેપ્યુટી કમિશનર ગણાત્રા, તેમજ આરોગ્ય, ફૂડ, સેનિટેશન, તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેલ.
સૌ પ્રથમ ત્રણેય ઝોનમાં ડેન્ગ્યુના કેટલા કેસ છે, તેની માહિતી મેળવવામાં આવેલ છે. જેમાં વેસ્ટઝોનમાં ડેન્ગ્યુના કેસ કેમ વધુ જોવા મળેલ.
મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, ડેન્ગ્યુના કેસ શા માટે વધુ છે, તેનું કારણ શોધી તે માટે તાત્કાલિક પગલા લેવા તેમજ તહેવારો દરમ્યાન રેકડીઓમાં ખુલ્લા ખાદ્ય પદાર્થ ન રાખે, તેમજ તહેવાર દરમ્યાન સફાઈની પણ કામગીરી ઝુંબેશના સ્વરૂપે થાય તે માટે કાર્યવાહી કરવી.
આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવેલ કે, જયાં જયાં પાણીના ખાડાઓ, ટાંકાઓ ખુલ્લા ન રહે, તેમજ દવા છંટકાવ થાય, તેમજ રોડ સાઈડ પર ઊગેલ ઘાસની સફાઈ કરવી, દવા છંટાવી, આ ઉપરાંત પાણીના કુંડાઓ સાફ રાખવા, અને ગંદા પાણીના કુંડાઓનો નાશ કરવો, વિશેષમાં લોક જાગૃતતા માટે પત્રિકા વિતરણ, રેડીઓ દ્વારા રોગચાળો અટકાવવા ઝુંબેશ કરવી, તેમજ કન્સ્ટ્રકશન માટે થયેલ ખોદાણ ના ખાડાઓમાં ભરાયેલ વરસાદીનો નિકાલ થાય, તેમજ ત્યાં દવા છંટકાવવામા આવે તેની ખાસ તકેદારી લેવી, તહેવારો દરમ્યાન ૧૫ દિવસ તમામ વિભાગોએ રોગચાળા નિયંત્રણ માટે કામગીરી કરવાનું અને આ માટે જે કાંઈ વ્યવસ્થા કરવી પડે તે કરવા માટે જણાવેલ હતું.
તહેવારો પછી ફરીને વન ડે થ્રી વોર્ડનું આયોજન કરવા પણ ચેરમેનશ્રી એ સુચના આપેલ.