ચેક રિર્ટન કેસમાં આરોપીને સજાનો નીચલી કોર્ટનો હુકમ યથાવત રાખતી સેસન્સ કોર્ટ
રાજકોટ તા. ર૯: ચેક રિર્ટન કેસમાં આરોપીને નીચલી કોર્ટે ફરમાવેલ સજાને સેસન્સ કોર્ટે યથાવત રાખવાનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના રહીશ ડો. રાકેશ રણછોડભાઇ સાવલીયાએ આરોપી પ્રદિપસિંહ અમરસિંહ રાણાને મકાન ખરીદવા માટે રૂ. ૧૦,૦૦,૦૦-૦૦ ની જરૂરિયાત હોવાથી હાથઉછીના આપેલા અને જે રકમની માંગણી કરતાં આરોપી પ્રદિપસિંહ અમરસિંહ રાણાએ ફરીયાદી ડો. રાજેશ રણછોડભાઇ સાવલીયાને ચેક આપેલ. જે ચેક બેન્કમાં વટાવવા માટે નાખતાં ચેક વણવસુલાતે પરત ફરેલ અને ત્યારબાદ ફરીયાદી ડો. રાકેશ રણછોડભાઇ સાવલીયાએ આરોપી પ્રદિપસિંહ અમરસિંહ રાણાને નોટીસ પાઠવેલ અને ત્યારબાદ તેના વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ધી નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ મુજબનો કેસ દાખલ કરેલ. જે કેસ ચાલી જતાં બન્ને પક્ષોની વિગતવાર દલીલો સાંભળી રાજકોટની ધી નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની સ્પેશ્યલ કોર્ટે આરોપી પ્રદિપસિંહ અમરસિંહ રાણાને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૧૦,૦૦,૦૦૦-૦૦ નો દંડ કરવામાં આવેલ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ ફરમાવેલ હતો.
નીચેની કોર્ટના હુકમ સામે આરોપી પ્રદિપસિંહ અમરસિંહ રાણાએ મુળ ફરીયાદી ડો. રાકેશ રણછોડભાઇ સાવલીયા સામે રાજકોટની સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરેલ જે અપીલ ચાલી જતાં બન્ને પક્ષોની વિગતવાર દલીલો સાંભળી અને રજુ રાખવામાં આવેલ પુરાવાઓને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખી મુળ આરોપી પ્રદિપસિંહ અમરસિંહ રાણાએ રૂ. ૧૦,૦૦,૦૦૦-૦૦ મુળ ફરીયાદ ડો. રાકેશ રણછોડભાઇ સાવલીયાને ચુકવી આપવાનો નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખતો હુકમ ફરમાવેલ છે.
ઉપરોકત કેસમાં મુળ ફરીયાદી વતી રાજકોટના વકીલ શ્રી એન. જી. બાવીશી તથા રાજેશ વઘાસીયા રોકાયેલ હતા.