રાજકોટ યાર્ડમાં મગફળી વિભાગમાં ર૦ દિ'થી ચાલતી મજુરોની હડતાલ સમેટાઇ
રાજકોટ, તા., ૨૯: રાજકોટ (બેડી) માર્કેટ યાર્ડમાં મગફળી વિભાગમાં ર૦ દિવસથી ચાલતી મજુરોની હડતાલ આજે સમેટાઇ ગઇ હતી. હડતાલ સમેટાતા રવિવારથી મગફળીની આવકો શરૂ કરવામાં આવશે.
બેડી યાર્ડમાં મગફળી વિભાગના મજુરોએ મજુરીના દર એક ગુણીએ ૬ રૂપીયા કરવાની માંગણી સાથે છેલ્લા ર૦ દિવસથી હડતાલ ઉપર હતા. આ હડતાલના પગલે યાર્ડમાં મગફળીની હરરાજી ઠપ્પ હતી. આજે રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા અને વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ મજુરો સાથે મીટીંગ યોજતા મજુરો યાર્ડના પરીપત્ર મુજબ એક ગુણીએ પાંચ રૂપીયાની મજુરીના દર માન્ય રાખી કામ કરવા સંમત થઇ ગયા હતા. જો કે મજુરોની માંગણી ૬ રૂપીયા કરવાની હતી તે યાર્ડના સંચાલકોએ માન્ય ન રાખી હતી.
આ પુર્વે પણ મગફળી વિભાગના મજુરોએ હડતાલ પાડી હતી. યાર્ડના પરીપત્ર મુજબ પાંચ રૂપીયા ગુણીએ મજુરી માન્ય રાખી કામ ઉપર ચડી ગયા હતા અને બે દિવસ બાદ ફરી હડતાલ ઉપર ઉતરી ગયા હતા. મજુરોની હડતાલ સમેટાતા રવિવારે યાર્ડમાં મગફળીની નવી આવકો શરૂ કરવા દેવામાં આવશે તેમ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું.