નરસંગપરામાં દંપતિએ પડોશીને ઘર રિનોવેશન બાબતે પુછતાં હુમલો
મ્યુ. કોર્પોરેશનના હંગામી કર્મચારી દિનેશભાઇ નારોલા અને પત્નિ ભગવતીબેનને પડોશી અજય, નંદીની સહિતનાએ ધોકા-ઢીકાપાટુ માર્યા
રાજકોટ તા. ૨૯: જુની કલેક્ટર કચેરી પાછળ નરસંગપરામાં રહેતાં દંપતિએ પડોશમાં રહેતાં યુવાનને મકાનના રિનોવેશન બાબતે પુછતાં તેણે તમે શું અમારા કામમાં રસ લ્યો છો? કહી હુમલો કરી બંનેને માર મારતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું.નરસંગપરામાં રહેતાં ભગવતીબેન દિનેશભાઇ નારોલા (ઉ.વ.૪૫) અને પતિ દિનેશભાઇ ભનુભાઇ નારોલા (ઉ.વ.૫૦) સાંજે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. પોતાને પડોશી અજય નૈયા અને નંદિની સહિતનાએ ધોકા, ઢીકાપાટુનો માર માર્યાનું કહેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
ભગવતીબેને જણાવ્યું હતું કે મારા પતિ મ્યુ. કોર્પોરેશનમાં હંગામી કર્મચારી છે. પડોશમાં અજય નૈયા મકાનનું રિનોવેશન કરતો હોઇ બે ત્રણ દિવસથી તે જોવા ન મળ્યો હોઇ ગત સાંજે તે ઘરે આવતાં મકાનનું કામ કેટલે પહોંચ્યું? તેમ પુછતાં તેણે અને સાથેનાએ શું અમારા કામમાં રસ લ્યો છો? કહી ગાળો દઇ હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.