સ્કૂલ રિક્ષા-વાનમાં તોળાતો ભાવ વધારો સોશ્યલ ડીસ્ટન્સથી હાલની સંખ્યામાં ૫૦% કાપ
નવા શૈક્ષણીક સત્ર શરૂ થાય તે પૂર્વે ગાઇડલાઇન અપાશે
રાજકોટ,તા.૨૯ : કોરોના માહામારી એ સ્કૂલ રીક્ષા અને વાહનચાલકોની ગાડી હાલમાં તો થંભાવી દીધી છે પરંતુ જ્યારે શાળાઓ શરૂ થશે ત્યારે પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમો અમલી કરશે તો સ્કૂલવાન કે સ્કૂલરિક્ષા બંધ કરવાની નોબત આવી શકે છે. શાળાઓ ખુલ્યા બાદ આવી જ રીતે નિયમો લાગુ રહેશે તો ૫૦ ટકા વિદ્યાર્થીજ સ્કૂલ વેન કે રિક્ષામાંબેસી શકશે જેના કારણે વાલીઓ પર ભાડાનું ત્રણ ગણું ભારણ આવી શકે છે.
આરટીઓના સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના મહામારી દરમિયાન મોટાભાગની ગાઇડલાઇન અને નિયમો સીધા કેન્દ્ર સરકાર માંથી આવી રહ્યા છે અને મુજબ સરકારી વિભાગો કામગીરી કરી રહ્યા છે. સ્કૂલો ચાલુ થાય ત્યારે સ્કૂલ રીક્ષા સ્કૂલ વેન કે સ્કૂલ બસને કેવી રીતે અને કેટલા વિદ્યાર્થીઓને બેસાડીને ચલાવવી તેની ગાઇડલાઇન આવશે તે પછી જ નક્કી થશે.
સ્કૂલવાન ચાલકો અને વાલીઓ બંનેની હાલત આગામી સમયમાં કફોડી બનશે કારણકે સ્કૂલવર્ધી વાહનોનું ભાડું ગત માર્ચ મહિનાથી વાલીઓ પાસેથી વસુલાયું નથી જે હવે મળવાની શકયતા ઓછી છે.
હવે એક વાનમાં સામાન્ય રીત ૧૨ વિદ્યાર્થીને બેસાડવામાં આવે છે જો સામાજિક અંતરનું પાલન થશે તો એક વાનમાં માત્ર ૬ વિદ્યાર્થી બેસી શકશે એક વિદ્યાર્થી ભાડું રૂ ૫૦૦ થી ૧૦૦૦ હોય છે જે ડબલ અથવા ત્રણ ગણું વાલીઓ પાસેથી વસૂલાય તેવી શકયતા છે તેથી જ રીતે ૫૦ ટકા વિદ્યાર્થીઓને બસમાં બેસાડવાના થાય તો બસની સંખ્યા પણ વધારવી પડે આમ વાલીઓ અને સ્કૂલવર્ધી વાહનો માટે સામાજિક અંતર ન રાખે તો ય સંકટ અને રાખે તો ય સંકટ વધશે.