બ્રાહ્મણીયાપરાના કેવીને ૨૦ હજાર સામે બે લાખ ચુકવ્યા છતાં વધુ વ્યાજ માંગી હુમલો
ઋત્વીક ભરવાડે માથામાં કડાથી માર મારતાં સોની યુવાન હોસ્પિટલના બિછાને
રાજકોટ તા. ૨૯: વ્યાજની ઉઘરાણી માટે મારામારીના બનાવો ફરી બનવા માંડ્યા છે. સંત કબીર રોડ પર બ્રાહ્મણીયાપરા-૧માં રહેતાં કવીન રમેશભાઇ રાણપરા (ઉ.વ.૧૯) નામના સોની યુવાન પર તેના ઘર નજીક ધરારનગર માર્કેટ પાસે ઋત્વીક નામના શખ્સે હુમલો કરી કડાથી માથામાં ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
કેવીન અગાઉ મોબાઇલની દૂકાન ચલાવતો હતો. હાલમાં બેકાર છે. તેના પિતા રમેશભાઇ ચમનલાલ રાણપરાએ કહ્યું હતું કે કેવીને અગાઉ ઋત્વીક ભરવાડ પાસેથી રૂ. ૨૦ હજાર વ્યાજે લીધા હતાં. તેની સામે અત્યાર સુધીમાં બે લાખ જેવી રકમ ચુકવી દીધી છે. આમ છતાં તે વધુ વ્યાજની માંગણી કરી હેરાન કરે છે. અગાઉ સમાધાન પણ થઇ ગયું હતું. ગઇકાલે ઋત્વીક ઘરેથી બહાર નીકળતાં ફરીથી તેની સાથે ઝઘડો કરી કડાથી માર મારવામાં આવ્યો હતો.
બી-ડિવીઝન પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.