રાજકોટ
News of Thursday, 29th April 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૫૦ બેડની કોવીડ હોસ્પીટલ શરૃઃ ૨૦ દર્દીઓની સારવાર

પ્રાણ મળતા હવે થોડી રાહતઃ સીવીલની લાઈન ઘટવાની શકયતા : કોરોનાના હળવા લક્ષણો અને ઓછા ઓકસીજનની જરૂરીયાતવાળા દર્દીઓને સારવાર આપવામાં આવી

રાજકોટ, તા. ૨૯ :. કોરોનાની મહામારીમાં બીજી લહેરે સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતને હચમચાવી નાખી છે. કોરોનાની સારવાર માટે બેડ ખુટી પડયા. દવા અને ઈન્જેકશનની અછત તેમજ ઓકસીજનના અભાવે અનેક દર્દીઓની સારવાર કફોડી બની છે.

ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ૨૦૦ ઓકસીજનવાળા બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે, પરંતુ પ્રાણવાયુ ઓકસીજન ન મળતા છેલ્લા ૧૦ દિવસથી બેડ જાણે દર્દીઓની પ્રતિક્ષા કરતા હોય તેવુ ચિત્ર ખડુ થયું હતું.

ગત મોડી રાત્રે ઓકસીજનની સપ્લાય મળતા આખરે સવારે સીવીલ હોસ્પીટલ, સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પીટલ સ્થિત કોરોનાના સામાન્ય લક્ષણો અને ઓકસીજનની ઓછી જરૂરીયાતવાળા દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. આજે બપોરે ૩ વાગ્યા સુધીમાં ૨૦ દર્દીઓ દાખલ થયા છે.

(3:54 pm IST)