રાજકોટ
News of Monday, 11th November 2019

હાજતે જવા નીકળેલા યુવરાજનગરના સગ્રામભાઇ સાડમીયાનું કારની ઠોકરે મોત

વહેલી સવારે ઘરેથી સામેના પટમાં જતાં રસ્તો ઓળંગતી વખતે બનાવઃ ચાલક કાર મુકીને ભાગી ગયોઃ દેવીપૂજક પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૧: ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ ચોકડીની વચ્ચેના રોડ પર યુવરાજનગરમાં રહેતાં દેવીપૂજક પ્રોૈઢ સગ્રામભાઇ વેલજીભાઇ સાડમીયા (ઉ.૫૫) વહેલી સવારે ઘરેથી સામેના પટમાં કુદરતી હાજતે જવા રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે કારની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું હતું.

સગ્રામભાઇને કારચાલકે ઉલાળતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ જાણ કરતાં આજીડેમના એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ૯ ભાઇ અને ૪ બહેનમાં છઠ્ઠા હતાં અને કચરો વીણવાની મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે. બનાવ બાદ ચાલક કાર મુકીને ભાગી ગયો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:01 pm IST)