જુના મનદુઃખને લીધે સાજણ ભરવાડ અને તેના પત્નિ પર સશસ્ત્ર હુમલો
આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં બઘડાટીઃ પડોશી જાદવ, બાબુ, ભરત અને વિપુલ ધારીયા, પાઇપ, છરીથી તૂટી પડ્યા
રાજકોટ તા. ૨૦: આજીડેમ ચોકડી પાસે આવેલા ભીમરાવનગરમાં રામાપીરના મંદિર પાસે રહેતાં ભરવાડ યુવાન સાજણ પાંચાભાઇ અલગોતર (ઉ.૩૦) પર સાંજે પડોશી જાદવ કેહુરભાઇ ભરવાડ, ભરત કેહુરભાઇ, બાબુ ભરવાડ અને વિપુલે મળી ઘરમાં ઘુસી ઢીકા-પાટુ તથા પાઇપથી માર મારી તેમજ માથામાં ઉંધુ ધારીયું ફટકારી ગાલ પર છરીથી ઇજા કરતાં તેના પત્નિ બાઘુબેન સાજણ (ઉ.૨૮) છોડાવવા આવતાં તેને પણ માર મારાવમાં આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમના પીએસઆઇ સી. એસ. પટેલે સાજણની ફરિયાદ પરથી ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધ્યો હતો. સાજણ પીકઅપવેનનું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ અગાઉ એક પ્લોટ ખરીદવા બાબતે તેને તથા પડોશી જાદવને મનદુઃખ થયું હતું. આ બાબતનો ખાર રાખી જાદવ સહિતનાએ ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો. (૧૪.૬)