પંચાયત ચોકમાં એપાર્ટમેન્ટના ૮મા માળેથી ઝંપલાવી ચંદ્રીકાબેન ગરાળાનો આપઘાત
કેન્સર, માનસિક અને પેટની બિમારીથી કંટાળી પગલુ ભર્યાનું ખુલ્યુ
રાજકોટ, તા. ૨૦ :. પંચાયત ચોકમાં શિલાલેખ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા પટેલ વૃદ્ધાએ બીમારીથી કંટાળી એપાર્ટમેન્ટના આઠમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગત મુજબ પંચાયત ચોક પાસે શિલાલેખ એપાર્ટમેન્ટના ચોથા માળે ફલેટ નં. ૪૦૨માં રહેતા ચંદ્રીકાબેન વિઠ્ઠલભાઈ ગરાળા (ઉ.વ. ૬૩) ગઈકાલે એપાર્ટમેન્ટના આઠમા માળે સીડી પાસે ગેલેરીમાંથી ઝંપલાવી દીધુ હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને જાણ કરતા ૧૦૮ના ઈએમટી ભાવેશભાઈ પટેલે તપાસ કરતા તેનુ મૃત્યુ નિપજ્યુ હોવાની પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ચુડાસમા તથા પ્રદીપભાઈ કોટડ સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ચંદ્રીકાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી અમેરિકા રહે છે. ગઈકાલે સાંજે પતિ બકાલુ લેવા ગયા હતા અને પુત્રવધુ ઘરમા હતી અને પોતે એપાર્ટમેન્ટના આઠમા માળે જઈ સીડી પાસે ગેલેરીમાંથી ઝંપલાવી દીધુ હતુ. તેને ઘણા સમયથી કેન્સર, માનસિક અસ્થિરતા તથા પેટની બીમારીથી પીડાતા હોય તેથી કંટાળી જઈ પટેલ વૃદ્ધાએ આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.