રાજકોટ
News of Wednesday, 28th October 2020

મારી નહી તો કોઇની નહી, સગાઇ પણ બીજે થવા નહી દઉ કહી જયદીપ સગીરાને ભગાડી ગયો

ન્યુ મહાવીરનગરના જયદીપ વાડોલીયા સામે અપહરણનો ગુનો

રાજકોટ, તા.૨૮: શહેરના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ન્યુ મહાવીરનગરનો શખ્સ ભગાડી જતા યુનિર્વસિટી પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ વિસ્તારમાં રહેતી મહિલાએ યુનિર્વસિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં મોટી દીકરી ૧૭ વર્ષની છે તે ધોરણ-૧૦ સુધી અભ્યાસ કરેલ છે. એક વર્ષ પહેલા મોટી દીકરી પોતાના મોબાઇલ ફોનમાંથી કોઇને ફોન કરતી હોવાની જાણ થતા પોતે તેને આ બાબતે પૂછતા તે ગાંધીગ્રામ ન્યુ મહાવીરનગર-૩માં રહેતો જયદીપ ધનજીભાઇ વાડોલીયા સાથે વાતચીત કરતી હોવાની હોવાની ખબર પડી હતી. અને તે શખ્સ અવારનવાર પોતાની દીકરી સાથે વાતચીત કરતો હતો. પોતે પોતાની દીકરીને સમજાવતા તે સમજી ગઇ હતી અને આ જયદીપ સાથે પોતે હવે કોઇ સંબંધ રાખશે નહી તેમ જણાવ્યુ હતું. તા.૧૩ના રોજ પોતે બજારમાં કામ હોવાથી ગયા હતા અને મોટી દીકરી ઘરે એકલી હતી. બાદ રાત્રે પોતે ઘરે આવ્યા ત્યારે દીકરી ઘરમાં જોવા ન મળતા આસપાસ અને સગાસંબંધીને ત્યાં તપાસ કરતા સગીરા ત્યાં ન હોવાનું જાણવા મળ્યુ હતું. અને પોતાની દીકરીને પોતાના સમાજના યુવક સાથે સગાઇ કરવાની હોવાથી તા.૧૨ના રોજ પોતાને આ જયદીપ વાડોલીયા સાથે વાત થયેલ કે તારે મારી દીકરી સાથે પ્રેમસંબંધ હતો તે હવે ભુલી જા અમારે તેની સગાઇ કરવાની છે. તેમ કહેતા જયદીપ વાડોલીયાએ કહેલ કે, 'મારી નહી તો કોઇની નહી હું તેની સગાઇ બીજે થવા નહી દઉ! તેમ વાત થઇ હતી જેથી પોતે તપાસ કરતા સગીરાને આ જયદીપ વાડોલીયા ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યુ હતું. બાદ પોતે યુનિર્વસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયદીપ વાડોલીયા સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ની કલમ હેઠળ ગુનો નોંધી પી.આઇ.એે.એસ.ચાવડા તથા રાઇટર ગીરીરાજસિંહ અને લક્ષ્મણભાઇએ તપાસ હાથ ધરી છે.

તરૂણીને દીપ્તીનગરનો શખ્સ ભગાડી ગયો

ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા પરમ દિવસે તેની માતાને 'મોલમાંથી ચોકલેટ વેફર લઇ આવુ છું' કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારજનોએ તપાસ કરતા તેનો પતો ન લાગતા સગીરાના પિતાએ મોલના સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં બાઇક પર એક યુવક નજરે પડયો હતો. જેની પાછળ તેની પુત્રી બેસીને જતી રહ્યાનું જોવામાં આવ્યુ હતું.

ત્યારબાદ બાઇકસવાર યુવક અંગે તપાસ કરતા આ યુવક ચીરાગ ઘનશ્યામભાઇ વણોલ (રહે. દીપ્તીનગર મેઇન રોડ બગીચા સામે) હોવાનું જાણવા મળ્યુ હતું. બાદ સગીરાના પિતાએ ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે દીપ્તીનગરના ચીરાગ ઘનશ્યામભાઇ વણોલ વિરૂધ્ધ અપહરણની  કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ જે.ડી.ઝાલા તથા રાઇટર નીલેશભાઇ મકવાણા અને ઘનશ્યામભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:12 pm IST)