રાજકોટ
News of Wednesday, 28th October 2020

ભગવતી પરામાં બકાલૂ લઇ ઘરે જઇ રહેલા યુપીના સોનુને છરી ઝીંકાઇઃ લૂંટનો આક્ષેપ

અજાણ્યા શખ્સે જે હોય તે આપી દેવાનું કહી ઝઘડો કરી હુમલો કર્યા બાદ ૨૨૦૦ પડાવી લીધા

રાજકોટ તા. ૨૮: ભગવતીપરામાં પુલ ઉતરતાં શામળાજી એસટીડી પીસીઓ નજીક ડો. સૈયદના દવાખાના પાસે સાંજે સાડા આઠેક વાગ્યે મુળ યુપીના અને હાલ ભગવતીપરા મદ્રેસા પાસે રહેતાં સોનુ બિસલજન રાજભર (ઉ.વ.૩૫) નામના યુવાનને અજાણ્યા શખ્સે આંતરી ઝઘડો કરી છરી ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

સોનુના કહેવા મુજબ પોતે કડીયા કામની મજૂરી કરે છે. સાંજે ઘરેથી ભગવતીપરા પુલ પાસે ચાલીને શાકભાજી લેવા આવ્યો હતો. પરત ઘર તરફ જતો હતો ત્યારે ડો. સૈયદના દવાખાના પાસે એક શખ્સ આડે આવ્યો હતો અને છરી બતાવી જે હોય તે આપી દેવા કહી ખિસ્સામાં હાથ નાંખતા તેને અટકાવતાં છરીનો ઘા ઝીંકી દીધો હતો અને પોતાની પાસે રહેલા રૂ. ૨૨૦૦ કાઢી ભાગી ગયો હતો.

દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં કોઇએ તેને હોસ્પિટલે ખસેડ્યો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ બી-ડિવીઝન પોલીસમાં નોંધ કરાવતાં તપાસ શરૂ કરવામાં આવી છે.

જો કે પોલીસે તપાસ કરતાં ગઇકાલે આ યુવાને શેઠ પાસેથી માત્ર સો રૂપિયાનો ઉપાડ લીધો હતો. લૂંટની ઘટના નહિ બન્યાનું હાલ બહાર આવ્યું છે. છતાં વિશેષ તપાસ યથાવત રાખવામાં આવી છે.

(12:48 pm IST)