મનહર સોસાયટીમાં ૨૬ દિવસની બાળાનું બેભાન હાલતમાં મોત
રાજકોટ તા. ૨૮: આરટીઓ પાસે મનહર સોસાયટી-૮માં રહેતાં પારૂલબેન વિરાજભાઇ ડાભી (ભરવાડ)ની દિકરી (ઉ.૨૬ દિવસ) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં માતા-પિતા સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.
પારૂલબેનને સંતાનમાં એક દિકરી હતી. બીજી દિકરીનો છવ્વીસ દિવસ પહેલા જન્મ થયો હતો. જન્મથી જ આ બાળકી બિમાર રહેતી હતી. તેણીનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટો બી-ડિવીઝનમાં જાણ કરી હતી.
કૃષ્ણનગરના દિલીપભાઇ ઝાલાનું બેભાન હાલતમાં મોત
જામનગર રોડ પર કૃષ્ણનગર-૧માં રહેતાં દિલીપભાઇ છગનભાઇ ઝાલા (વાળંદ) (ઉ.વ.૪૫)ને ટીબીની બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક વાળંદ કામ કરતાં હતાં અને ત્રણ બહેન બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.