બાબરીયા કોલોનીમાં જુના મનદુઃખમાં અલ્તાફભાઇ મોદી અને પુત્ર પર હુમલો
જયેશ ડાંગર, લાલો ચોટી અને ભુરો ઝાલા વિરૂધ્ધ ગુનો
રાજકોટ તા. ૨૮: બાબરીયા કોલોનીમાં અગાઉની માથાકુટને કારણે પીંજારા પ્રોૈઢ અને તેના પુત્ર પર ત્રણ શખ્સોએ છરી, પાઇપ, તલવારથી હુમલો કરી ઢીકાપાટુનો માર મારવામાં આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ બાબરીયા કોલોની આવાસ ક્વાર્ટરમાં રહેતાં રિક્ષાચાલક અલ્તાફભાઇ નુરમહમદભાઇ મોદી (પિંજારા) (ઉ.૫૦) અને તેના પુત્ર સિકંદર અલ્તાફભાઇ મોદી (ઉ.૨૭)ને રાતે ઘર પાસે શક્તિ ચોક મસ્જીદની બાજુમાં હતાં ત્યારે જયેશ ડાંગર, લાલો ચોટી, ભુરો ઝાલાઓ છરી, તલવાર, પાઇપ સાથે આવી ઝઘડો કરી બંનેને માથા, હાથ, પીઠ, શરીરે ઇજાઓ કરતાં સારવાર માટે દાખલ કરાયા હતાં.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં હેડકોન્સ. પી. એન. ગોહિલે હોસ્પિટલે પહોંચી અલ્તાફભાઇની ફરિયાદ પરથી હુમલાખોર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. અલ્તાફભાઇ રાતે ઘર બહાર ઉભેલા પોતાના દિકરા સિકંદરને તે ઘર નજીક શક્તિ ચોકમાં ઉભો હોઇ ત્યાથી બોલાવવા જતાં તે વખતે જયેશ, લાલો, ભૂરો આવી જતાં ત્રણેયએ અગાઉ સિકંદર સાથે થયેલી માથાકુટનો ખાર રાખી તેને ગાળો દીધી હતી અને તેના માથામાં ઉંધી તલવારનો ઘા મારી દીધો હતો. તેમજ હાથ પર છરી અને પીઠ પર પાઇપનો ઘા ફટકારી દીધો હતો. અલ્તાફભાઇ છોડાવવા જતાં તેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો.