રાજકોટ
News of Tuesday, 28th June 2022

૮૦ ફુટ રોડ સત્‍યમ્‌ પાર્કમાં કરિયાણાના વેપારી દિપકભાઇ ગોપલાણીનો આપઘાત

પતિ-પત્‍નિની બિમારીમાં દવાઓનો ખર્ચ, આર્થિક ખેંચ અને પુત્રની ચિંતાને લીધે ઝેરી ટીકડીઓ પી ગયાનું પરિવારજનોનું અનુમાન

રાજકોટ તા. ૨૮: શહેરના ૮૦ ફુટ રોડ પર હુન્‍ડાઇના શો રૂમ સામે સત્‍યમ્‌ પાર્કમાં રહેતાં દિપકભાઇ રાવલદાસ ગોપલાણી (ઉ.વ.૫૦) નામના કરિયાણાના સિંધી વેપારીએ ઝેરી ટીકડીઓ પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

દિપકભાઇએ ગઇકાલે બપોર બાદ ઘઉંની ટીકડીઓ પી લેતાં તેમને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.  દિપકભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રી સાસરે છે અને પુત્ર અપરિણીત છે તે ટ્રાવેલીંગનું કામ કરે છે. દિપકભાઇ તેના ભાઇ સાથે આનંદનગરમાં કરિયાણાની દૂકાન ચલાવતાં હતાં.

પરિવારજનોએ કહ્યુ઼ હતું કે દિપકભાઇ પોતે બિમાર રહેતાં હતા અને તેમના પત્‍નિને પણ બિમારી હોઇ દવાનો ખર્ચ, આર્થિક ખેંચ અને પુત્રની નોકરીની ચિંતા હોઇ તેના કારણે કદાચ આ પગલુ ભર્યુ હોવાની શક્‍યતા છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(10:39 am IST)