રેલનગર અમૃત રેસીડેન્સીમાં સ્વિમીંગ પૂલમાં પાણી ભરવા મામલે ગોૈરાંગ રાવલ પર હુમલો
દવા છાંટી હોઇ પાણી ખાલી કરાયું હતું: બે દિવસ પછી પાણી ભરવાનું કહેતાં ડખ્ખોઃ ગોવિંદ આહિર સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
રાજકોટ તા. ૨૮: રેલનગરમાં આવેલી અમૃત રેસિડેન્સીમાં રહેતાં યુવાને અહિ આવેલા સ્વિમિંગ પૂલમાં પાણી ભરવા મામલે અન્ય રહેવાસી સાથે બોલાચાલી થતાં તેને લાકડી ઢીકાપાટુનો માર મારી છરીથી ઇજા પહોંચાડવામાં આવતાં ફરિયાદ થઇ છે.
રેલનગર અમૃત રેસિડેન્સીમાં રહેતો અને કેટરીંગનું કામ કરતો યુવાન ગોૈરાંગ પલ્લવકુમાર રાવલ (ઉ.૩૦) રાતે નવેક વાગ્યે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો અને પોતાના પર હુમલો થયાનું કહેતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયાએ તેની ફરિયાદ પરથી ગોવિંદ આહિર અને તેના પુત્ર તથા અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસના કહેવા મુજબ રેસિડેન્સીના સ્વિમીંગ પૂલમાં સેવાળ જામી ગયો હોઇ હાલ ખાલી કરીને દવા છાંટવામાં આવી છે.
બે દિવસ પછી તેમાં પાણી ભરવાનું હતું. ગોૈરાંગે ગત રાતે સિક્યુરીટીને પૂલ ખાલી કેમ રાખ્યો છે? કહી પુલ ભરવા માટે પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો. આ બાબતે બોલાચાલી થતાં મારામારી થઇ હતી. ગોૈરાંગ મુળ મોરબીનો છે અને રેલનગરમાં સસરાના ઘરે આવ્યો હતો.