સાત હનુમાન પાસે દરગાહ નજીક મુસ્લિમ પરિવારો વચ્ચે મારામારી થતાં છ ઘવાયા
સામા સામે ધોકા પાઇપથી હુમલો કરતાં હોસ્પિટલમાં ખસેડાયા
રાજકોટ તા. ૨૮: કુવાડવા રોડ સાત હનુમાન નજીક પંજેતનપીરની દરગાહ પાસે રાત્રે ધોકા-પાઇપથી મારામારી થતાં મુસ્લિમ પરિવારોના છ લોકોને ઇજા થઇ હતી. એક બીજા પર હુમલો કરવામાં આવતાં એક પક્ષના ચાર અને બીજા પક્ષને બે લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
સાત હનુમાન પાછળના ભાગે રહેતાં ફારૂક યુસુફભાઇ કટારીયા (ઉ.૩૮), આસ્તાના યુસુફભાઇ (ઉ.૧૫), આરફા ઇબ્રાહીમભાઇ (ઉ.૧૭) અને સિમરન યુસુફભાઇ (ઉ.૨૦) રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાના પર યુસુફભાઇએ ધોકા પાઇપથી હુમલો કર્યાની રાવ કરતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
સામા પક્ષે મોરબી રોડ ગણેશનગરમાં રહેતાં નુરીબેન ઇબ્રાહીમભાઇ કાથરોટીયા (ઉ.૪૦) અને સાબીયા ઇબ્રાહીમભાઇ કટારીયા (ઉ.૨૨) પણ પંતેજનપીરની દરગાહ પાસે હતાં ત્યારે ફારૂકભાઇએ ધોકાથી માર મારતાં સિવિલમાં દાખલ થયા હતાં. પોલીસે બંને પક્ષના નિવેદન નોંધવા તજવીજ કરી હતી. પરંતુ બંને પક્ષ દ્વારા કોઇ ફરિયાદ નોંધાવાઇ નહોતી. નુરીબેને આક્ષેપો કર્યા હતાં કે મારી દિકરી સાબીયાની પાછળ એ લોકો પડી ગયા છે. મારી દિકરી અને ફારૂકની દિકરીઓ કેટરર્સમાં કામે જાય છે. જે કારણે મારી દિકરીને હેરાન કરવામાં આવે છે.