કાલે વાણિયાવાડીમાં પુરૂષોતમ માસની કથા, કિર્તન, મંડપ પૂજન, રાસોત્સવ
રાજકોટ, તા. ર૮ : કળિયુગમાં તેજોમય ભગવાન પુરૂષોત્તમને પામવાનો આ ઉત્તમ મહિનો છે, મોહમાયાના અંધકારમાં ડુબેલા એવા માણસોને જ્ઞાન આપી સન્માર્ગો વાળનાર વિષ્ણુ ભગવાનનો અદ્વિતિય અધિક માસ છે. સ્નાન, ધ્યાન, દાન અને ઉપવાસથી પ્રગટ થતી ધર્મ, કર્મ અને અને મોક્ષરૂપી પુરૂષોત્તમ માસની કથાઓ અને મહાત્મ્ય મનનીય છે. જીવન જીવવામાં યોગ્ય અને અયોગ્ય વહાર દૂર કરવા પ્રભુ સ્મરણમાં સમય કાઢી જીવનનો મળ દૂર કરવાનો આ માસ છે.
જય મહાદેવ જીવદયા સેવા સંસ્થાના પરેશ વોરા, અશ્વિન ભોગાયતા, વિજય ટીંબડીયાએ જણાવ્યું હતું કે માનવીના જીવનમાં પેદા થયેલા અહંમ મમતાને દૂર કરી અને એના અંતઃકરણને શુદ્ધ કરનાર આ પુરૂષોત્તમ મહિનાનો મહિમા અનોખો છે જે મનુષ્ય શ્રદ્ધા-ભકિતથી આ માસને પૂજે છે : વ્રત, જપ, ઉપવાસ કરે છે તેના દુઃખદારિદ્ર નાથ પામે છે અને તેના તમામ પાપો બાળીને ભસ્મ થઇ જાય છે અને તે પ્રભુ શ્રી પુરૂષોત્તમનું સાંનિધ્ય પામે છે ત્યારે આવા ઉમદા હેતુથી જનમહાદેવ જીવદયા સેવા સંસ્થાનના જીવદયા પ્રેમી મિત્રોએ આ પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિતે શાષાોકત વિધિ વિધાનથી મંડળ પૂજન તથા સાંજે સંગીતમય શૈલીમાં પુરૂષોત્તમ ભગવાનની કથાનું આયોજન કરેલ છે. જેમાં સંસ્થા દ્વારા આવતીકાલે મંગળવારે સવારે ૯:૩૦ થી મંડળ પૂજન તથા સવારના ૧૦ થી રાત્રીના ૧૦ સુધી મંડળ દર્શનનો લ્હાવો, સાંજના ૪-૩૦થી ૬-૩૦ સુધી વિવિધ ગોપી મંડળો દ્વારા સામૂહિક કિર્તન, ૬-૩૦ થી ૭-૩૦ સુધી સંગીતમય શૈલીમાં પુરૂષોત્તમ ભગવાનની કથાનું રસપાન, ત્યારબાદ સાંજે ૮ થી ૧૦ સુધી ગોપી મંડળ દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમ ૪/૮ વાણીયાવાડી, ઘાવડીમાં પાનવાળા ચોકમાં આવતીકાલ તા. ર૯મીએ યોજાશે.
સંસ્થાના નૈમિષ રૈયાણી, મહેશ ઢોલરીયા, મિલન ચોલેરાએ વધુમાં જણાવ્યું છે કે આ પ્રસંગે ભકિતનગર પો.સ્ટે.માંથી એ.વી. પીપરોતર (પી.એસ.આઇ.), એમ.બી. વાળા (પી.એસ.આઇ.), ડી.એ. ધાંધલીયા (પી.એસ.આઇ.), આર.સી. રામાનુજ (પી.એસ.આઇ.), એન.એ. શુકલ (પી.એસ.આઇ.-ગુંદાવાડી પોલીસ ચોકી), કલ્પનાબેન અનુપમભાઇ દોશી (દિકરાનું ઘર-ઢોલર), લાભુબેન પ્રફુલચંદ્ર મોઢા (મહિલા અગ્રણી), સવિતાબેન ચમનભાઇ નસીત (મહિલા અગ્રણી), નિર્મલાબેન મહેન્દ્રકુમાર વ્યાસ મહિલા અગ્રણી), ઉર્મિલાબેન હિંમત લાબડીયા (સામાજી મહિલા અગ્રણી) વગેરે ઉપસ્થિત રહેશે.
સંસ્થાના નીતિન ભટ્ટ, અતુલ ગોસ્વામી, વિનોદ સિદ્ધપુરાએ જણાવ્યું છે કે દર ત્રણ વર્ષે આવતા અધિક માસમાં સંસ્થા દ્વારા ગોપીમંડળોને વનભોજન તથા નિઃશુલ્ક ધાર્મિક યાત્રાનું આયોજન હાથ ધરાયેલ હતું. આ વર્ષે પણ વિવિધ ગોપીમંડળોને નિઃશુલ્ક વનભોજન તથા ધાર્મિક યાત્રાનું આયોજન દાતાશ્રીઓના સહયોગથી હાથ ધરેલ છે. જીવદયાની સાથે નિઃશુલ્ક મેડીકલ સાધન વપરાશ કેન્દ્ર પણ છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે.
કાર્યક્રમને યશસ્વી બનાવવા સંસ્થાના બીપીનભાઇ ખોયાણી, મનસુખભાઇ ખોયાણી, પરેશભાઇ ખૂંટ, રમેશભાઇ ચોથાણી, કમલભાઇ ભટ્ટ, કાર્તિકભાઇ પટેલ, કમલેશભાઇ વોરા, દિપકભાઇ જેસુર, હરદેવસિંહ ઝાલા, મેઘરાજ ગઢવી, વિશાલ ભોગાયતા, પરાશર વ્યાસ વિગેરેએ જહેમત ઉઠાવેલ છે.