સદર બજાર, જંકશન, પોપટપરામાં ખુલ્લી દુકાનો બંધ કરાવાઇ : પ્રનગર પોલીસનું પેટ્રોલીંગ
ફુલછાબ ચોક પાસે ખોડીયાર હોટલ સંચાલક સામે જાહેરનામા ભંગની કાર્યવાહી
રાજકોટ : વૈશ્વિક મહામારી અંતર્ગત કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસંધાને શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે તા. ૨૮ થી તા. ૫/૫ સુધી આંશીક લોકડાઉન અંગેનું જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં વાણિજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, અઠવાડીક ગુજરી બજાર, શૈક્ષણીક સંસ્થા કોચીંગ સેન્ટરો, સિનેમા, એસેમ્બલી હોલ, ઓડીટોરીયમ, વોટર પાર્ક, બાગ -બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ બંધ રાખવા જણાવાયું છે. ત્યારે આજે એસીપી પી.કે.દીયોરાની રાહબરી હેઠળ પ્રનગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડા તથા પીએસઆઇ કે.ડીપટેલ સહિતના સ્ટાફે પ્રનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં જેમ કે સદરબજાર જંકશન, પોપટપરા અને ફૂલછાબ ચોકમાં પેટ્રોલીંગ હાથ ધરી ખુલ્લી દુકાનો બંધ કરાવી હતી. અને ફૂલછાબ ચોક પાસે આવેલી ખોડીયાર હોટલ સંચાલક સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.