યોગેશભાઇ એક હરતી ફરતી સેવા સંસ્થા સમાન હતા
સેવાનો પુજારી યોગેશ પુજારા આપદા-આફતમાં એકે હજારા
તીમિર ગયુ ને જયોત પ્રકાશીયુ,
બહાર ઊભો શિશુ ભોળો...
મંગલ મંદિર ખોલો દયામય,
મંગલ મંદિર ખોલો...
રઘુવીર સેનાના પદાધિકારી, રઘુવંશી રત્ન, રામકૃષ્ણનગરના પ્રાણવાયુ, સેવાનો ભેખધારી, ગરીબોનો બેલી, ભાંગ્યાના ભેરૂ મારો જીગરીયો ભાઇશ્રી યોગેશ પુજારા કોરોનાની સામેની લડત મા વૈકુંઠધામવાસી થયા
અકિલા પરિવારના મોભી, લોહાણા શ્રેષ્ઠી પૂજય શ્રી કિરીટભાઇ ગણાત્રાના માનીતા અને લોહાણા સમાજના પનોતા પુત્ર યોગેશભાઇ વ્યકિત પુરતા સીમિત ન હતા તેઓ એક હરતી ફરતી સેવા સંસ્થા સમાન હતા
બહોળો ચાહક વર્ગ ધરાવતા યોગેશભાઇ પુજારા લોહાણા સમાજની ૧૦૮ સમાન સેવા હતી, કાળી રાતે બોલાવો તો પણ હસમુખા મોઢે હજરાહજુર જ હોય, કોઇપણ વિપદામા તેમની સેવા સોળઆની જ હોય તેમાં કાંઇપણ ઘટે નહી.
મોકાના રોડ ઉપર આવેલ કરોડની કિંમતની મિલકત ભાડે આપી મરજી મુજબની આવક રળી શકયા હોત પરંતુ એકે હજારા જેવા યોગેશભાઇ એ તે જગ્યાએ રસોઇ બનાવવા કાયમી રસોડું ઉભુ કરી ગરીબ દર્દીઓને વિનામૂલ્યે રસોઇ ઘરે ઘરે અને સીવીલ હોસ્પિટલમાં પથારી પથારી એ પહોંચાડી માનવતાની જયોત ને જલાવી રાખી હતી.
લેન્ડલોર્ડ પુજારા પરિવારના યોગેશભાઇ લાગણીના ઘુઘવાટા દરીયા સમાન દરિયાદિલ ઇન્સાન હતા, સુચારૂ સંચાલન માટે યોગેશભાઇની પારંગત લાજવાબ હતી.
પૂજય સંતશ્રી જલારામ બાપા, પૂજય સંતશ્રી રણછોડદાસજી મહારાજ, પૂજય સંતશ્રી હરિચરણદાસજી મહારાજના પરમ શિષ્ય યોગેશભાઇ આધ્યાત્મિક ક્ષેત્રે પણ વિશેષ રૂચિકર હતાં.
કોઇપણ અન્યાય સામે તેઓ આક્રમક રીતે રજૂઆત અને લડત કરવામાં કયારેય પાછી પાની કરી ન હતી, તેમ છતાં રાજકારણીઓમાં માનીતા હતાં.
રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઇની મુખ્યમંત્રી તરીકે સન્માનીત કરવામાં આવેલ ત્યારે રઘુવંશી શ્રેષ્ઠી તરીકે મંચ ઉપર સ્થાન આપવામાં આવેલ તે જ તેમનો મોભો, મરતબો, અને માન આસમાને હતુ તે દર્શાવે છે. (પ-ર૦)
-ડો. પુરૂષોતમ પીપરીયા
સીઇઓ, આર.સી.સી. બેંક રાજકોટ, મો. ૯૪ર૭ર ર૦પ૪૪