વિરનગરના ૬૪ વર્ષના શાંતિભાઇએ કોરોનાને મહાત કર્યો : રાજકોટ સિવીલ હોસ્પિટલની સેવાને આશીર્વાદરૂપ ગણાવી
રાજકોટ, તા.૨૮ : વિરનગરના ૬૪ વર્ષના નિવૃત સુથાર શાંતિભાઇ ડાયાભાઇ સરદેસાને ૬ વર્ષથી ડાયાબિટિસ અને બીપી છે, તેમની દવા પણ તેઓ રાજકોટની જ સરકારી હોસ્પિટલમાંથી જ લે છે.
તાજેતરમાં તેમનું ડાયાબિટિસ થોડું વધી જતાં તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રૂટિન દવા લેવા આવ્યા હતા. ત્યાં ડોકટરોએ તપાસતા કોરોના પોઝિટિવ આવતા તેઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા. તેઓને સિવિલની કોવિડ હોસ્પિટલમાં બે દિવસ દાખલ કરાયા. તે પછીની સારવાર માટે કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દસ દિવસ સુધી રહ્યા. આમ કુલ બાર દિવસની સારવાર બાદ તેઓ સ્વસ્થ થઇને ફરી ઘરે આવી ગયા છે.
કોરોનાની સારવારના અનુભવ વિષે શાંતિભાઇ કહે છે કે, સરકારી કોવિડ હોસ્પિટલમાં મારી ખુબ સારી સારવાર કરી છે. આ માટે હું ડોકટર, નર્સ સહિતના સ્ટાફને ધન્યવાદ આપુ છું. મને ખુબ સાચવ્યો છે. મને, મારા પુત્ર અને મારા સમગ્ર પરિવારને સરકારી સારવારમાં જ ખુબ વિશ્વાસ છે. એક તો મારી ડાયાબીટીસની દવા વર્ષોથી હું રાજકોટની હોસ્પિટલમાં કરાવું છુ, બીજુ એ કે કોરોનામાંથી પણ સાજો મને સરકારી સારવારે કર્યો. અને ત્રીજુ એ કે મારા ૪૩ વર્ષના એક માત્ર પુત્રનો ગંભીર અકસ્માત ત્રણેક વર્ષ પહેલા થયો હતો. આ અકસ્માતમાં મારા પુત્ર જિતેષની સારવાર અને ઓપરેશન પણ રાજકોટની જ સરકારી હોસ્પિટલમાં કરાઇ હતી. અને આજે મારો પુત્ર સ્વસ્થ છે. આમ મને વર્ષોથી સરકારી સારવારના સુખદ અનુભવ જ રહયા છે.