રાજકોટમાં કોરોનાની ત્રિપલ સેન્ચુરી : બપોર સુધીમાં ૩૦૧ કેસ
શહેરમાં હાલ ૭૮૦૩ સારવાર હેઠળઃ ૧૪૦ હોસ્પિટલમાં
૭૬૬૬૩ હોમ આઇસોલેટેડઃ શહેરમાં કુલ કેસનો આંક ૫૮,૯૮૯એ પહોંચ્યોઃ ગઇકાલે ૧૩૨૯ દર્દીઓ સાજા થયાઃ રિકવરી : રેટ ૮૫.૩૭ થયો
રાજકોટ, તા. ૨૮ : શહેરમાં છેલ્લા સપ્તાહમાં કોરોના કેસમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજ બપોર સુધીમાં કોરોનાનાં ૩૦૧ કેસ નોંધાતા મનપાનું આરોગ્ય વિભાગ ઉંધા માથે થયુ છે. શહેરમાં હાલ ૭૮૦૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૧૪૦ દર્દીઓ સરકારી ખાનગી અને હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. ગઇકાલે ૧૩૨૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.
મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩૦૧ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૫૮,૯૮૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૫૦,૩૬૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૪૭૨૭ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૦૦૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨૧.૩૨ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૬,૫૦,૧૦૯ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૫૮,૯૮૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૭ ટકા થયો છે. રિકવરી રેટ ૮૫.૩૭ ટકાએ પહોંચ્યો છે.
વધુમાં મનપાનાં આરોગ્ય વિભાગ ચોપડે નોંધાયેલ આંકડા મુજબ નજર કરીએ તો શહેરમાં હાલ ૭૮૦૩ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૫૭ દર્દીઓ સરકારી હોસ્પિટલમાં તથા ૮૩ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સહિત કુલ ૧૪૦ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જયારે ૭૬૬૩ લોકો હોમ આઇસોલેટેડ છે