રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન આજે એક પણ મૃત્યુ નહિઃ નવા ૧૨ કેસ
શહેરનો કુલ આંક ૧૫,૧૨૬એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૪,૬૬૬ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૭ ટકા થયો
રાજકોટ, તા.૨૮: વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં આજે એક પણ મૃત્યુ થયુ નથી. શહેરમાં બપોર સુધીમાં૧૨ કેસ નોંધાયા છે.
આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૭નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૮ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં એક પણ દર્દીનું મૃત્યુ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૪ પૈકી એક પણ મોત જાહેર કર્યુ નથી.
કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૩૮૮ બેડ ખાલી છે.
શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.
બપોર સુધીમાં ૧૨ કેસ
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૫,૧૨૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૪,૬૬૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૭.૦૩ ટકા રિકવરી રેટ થયો છે.
ગઇકાલે કુલ ૧૦૪૯ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૫૮ ટકા થયો હતો. જયારે ૫૬ દર્દીઓ સાજા થયા હતા.
જયારે આજ દિન સુધીમાં ૫,૬૬,૮૬૨ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૧૨૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૭ ટકા થયો છે.