ચુનારાવાડના અનિલ રાઠોડ લોહીની બિમારીથી કંટાળી એસિડ પી જીવ દીધો
બે બહેનનો એકનો એક ભાઇ અને વિધવા માતાનો આધારસ્તંભ હતો
રાજકોટ તા. ૨૮: ચુનારાવાડ બાપા સિતારામનગરમાં રહેતાં અનિલ મંગાભાઇ રાઠોડ (ઉ.વ.૨૮) નામના કોળી યુવાને એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
અનિલે ગઇકાલે ઘરે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ રાત્રીના અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રામજીભાઇ પટેલે થોરાળા પોલીસને જાણ કરતાં પીએસઆઇ કે. કે. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર અનિલ બે બહેનનો એકનો એક વચેટ ભાઇ હતો. તે છુટક મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પત્નિ સંતાનોને લઇને લાંબા સમયથી માવતરે જતી રહી હોઇ અનિલ માતા સાથે રહેતો હતો. પોતાને લોહીની બિમારી લાગુ પડી હોઇ તેનાથી કંટાળી જઇ આ પગલુ ભરી લીધું હતું. એકનો એક આધારસ્તંભ ગુમાવતાં વિધવા માતા શોકમાં ગરક થઇ ગયા છે.