જયોતીનગરના બગીચામાં એસીડ પી લેનાર વૃધ્ધ મનસુખભાઇએ દમ તોડયો
ગત બુધવારે પુત્ર સાથે ચડભડ થતા ઘરેથી નિકળ્યા બાદ પગલુ ભર્યુ
રાજકોટ, તા.૨૭: કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલની પાછળ જયોતીનગરના બગીચામાં ગત ચાર દિવસ પહેલા એસીડ પી લેનારા જયોતીનગરના વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ નાના મવા રોડ પર આવેલ તુલશી વીષ્ટા એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઇ રવજીભાઇ પટેલ (ઉ.વ.૬૪) ચારેક દિવસ પહેલા ઘરે હતા ત્યારે તેને તેના પુત્ર સાથે ઝઘડો થયો હતો બાદ લાગી આવતા તે ઘરેથી નીકળી ગયા હતા. અને કાલાવડ રોડ ક્રિસ્ટલમોલની પાછળ જયોતીનગરના બગીચામાં એસીડ પી લીધુ હતુ, બાદ તેને સારવાર માટે મેડીસર્જ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. એક પુત્ર અમેરીકા રહે છે અને બીજા પુત્ર બેંકમાં નોકરી કરે છે એક વર્ષ પહેલા તેણે પોતાના ફલેટના નીચેના માળે રહેતા મિત્ર મુકેશભાઇ પાસે રૂ.૧૧ લાખ ઉછીના લીધા હતા. તે પૈસા તેણે વાપરી નાખ્યા હોઇ તેની તેના પુત્ર સાગરને ખબર પડતા તે બાબતે ચડભડ થઇ હતી તેથી લાગી આવતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યુ હતું.