ખેડૂતોને પિયત માટે લાઇટની ખૂબ જરૂરીયાત રહે છે લાઇટના ધાંધીયા નિવારો : કિસાન સંઘનું આવેદન
ભારતીય કિસાન સંઘે પીજીવીસીએલના ચીફ ઇજનેરને પૂરતી લાઇટ આપવા પ્રશ્ને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૭ : રાજકોટ કિસાન સંઘે વિવિધ મુદ્દે આજે પીજીવીસીએલના ચીફ ઇજનેર શ્રી ગાંધીને આવેદન પાઠવી શીયાળુ પાક માટે પૂરતી લાઇટ આપવા માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે, ખેતીને પિયત આપવા માટે ખેડૂતોને લાઇટની ખૂબ જરૂરીયાત હોય છે, એની સામે ગામડાઓના ફીડરો - ટીસીમાં વારંવાર ફોલ્ટ આવે છે, ફરિયાદ વિભાગમાં વારંવાર રજૂઆતો છતાં પ્રશ્નોનું નિરાકરણ થતું નથી, પૂરતું ધ્યાન અપાતું નથી. કોઇ પણ કારણસર જીઇબીમાં ફોલ્ટને કારણે સમયમાં ફેરફાર થાય તો તે સમયના ભાગની લાઇટ ફરીથી વધારે આપવી જોઇએ, એટલું જ નહી જે ખરાબ ટીસી છે તેને તાકિદે બદલવા જરૂરી છે. ૮ કલાકની મર્યાદામાં પણ વારંવાર ઝાટકા આવતા હોય, ખેડૂતોની મોટર બળી જાય છે, લાઇનો તૂટી જાય છે, તાકિદે યોગ્ય નહી થાય તો આંદોલન કરાશે તેવી ચેતવણી અપાઇ હતી.
આવેદન દેવામાં ભારતીય કિસાન સંઘના દિલીપભાઇ સખીયા તથા અન્ય આગેવાનો જોડાયા હતા.