રાજકોટ
News of Monday, 27th September 2021

શરીરનો જન્મોત્સવ નહિ, સમજનો જન્મોત્સવ ઉજવીએ : પૂ. નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.નો ૫૧મો જન્મદિન મહામાનવતા મહોત્સવ તરીકે ઉજવાયો : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ તથા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ પૂ. ગુરૂદેવને શુભેચ્છા આપી

રાજકોટ,તા.૨૭ : રાખ થઈ જનારા શરીરના જન્મોત્સવની અનેકવારની ઉજવણી બાદ હવે સમજનો જન્મોત્સવ ઉજવીને જીવન સાર્થક કરી લેવાની પ્રેરણાનંુ પાથેય કંડારી ગયો, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના ૫૧માં અવતરણ અવસરે ઉજવાયેલો મહા માનવતા મહોત્સવ.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રી ચરણમાં અવતરણ દિનની શુભેચ્છા વંદના, અભિવંદના અને ભકિતભાવની અર્પણતા કરવા અત્યંત ઉત્સાહ ભાવે પ્રત્યક્ષ અને લાઈવના માધ્યમે વિશ્વના ખૂણે-ખૂણેથી ભાવિકોએ પૂ.ગુરૂદેવના જન્મદિનના વધામણા કરેલ.

પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપસ્થિત દરેકે દરેક ભકિતભીના હૃદય અલોકિક દિવ્ય તરંગોથી ભાવિત થઈને લયલીન બની ગયા હતા જ્યારે દેવાધિદેવ તીર્થકર પરમાત્મા પાર્શ્વપ્રભુની ઉત્કૃષ્ટ સ્તુતિ સ્વરૂપ મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની સંકલ્પ સિધ્ધિદાયિની જપ સાધના પરમ ગુરુદેવના નાભિનાદથી પ્રગટતા દિવ્ય મંત્રોચ્ચાર સાથે બ્રહ્મસ્વરે કરાવવામાં આવી હતી. ક્રમવાર ત્રણ તબક્કામાં વિશિષ્ટ મુદ્રાઓ અને લયબદ્ધ સ્વરૂપે કરાવવામાં આવેલી આ જપ સાધના અનેક ભાવિકોની આત્મા ધરાને પ્રભુ પ્રેમથી તરબતર કરી ગઈ.

પ્રભુભકિતની આ સાધના સાથે જ આ અવસરે પરમ ગુરુદેવે જીવનની વાસ્તવિકતાનું ભાન કરાવતા પરમ વચનો પ્રગટ કરીને ફરમાવ્યું હતું કે, રાખ થઇ જનારા આ શરીરના જન્મોત્સવ આપણે અનેકોવાર ઉજવ્યા, પરંતુ વાસ્તવિક મજા તો સમજનો જન્મોત્સવ ઉજવીએ છે એમાં રહેલી છે. શરીરના વિકાસનો ઉત્સવ નહીં, પરંતુ સમજના વિકાસનો ઉત્સવ ઉજવીએ.

આ અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરમ ગુરૂદેવ દ્વારા થઇ રહેલા માનવતા-જીવદયાના કાર્યો બદલ અહોભાવ પ્રગટ કરીને શુભેચ્છા અર્પણ કરી હતી. એ સાથે જ આ અવસરે  કેન્દ્રીય મંત્રી પરષોત્તમજી રૂપાલાએ પણ ગુરુદેવને સૌરાષ્ટ્રના રત્ન તરીખે ઓળખાવીને શુભેચ્છા અર્પણ કરી હતી. આ અવસરે સમગ્ર ગોંડલ સંપ્રદાય તરફથી પ્રવીણભાઈ કોઠારીએ પણ ગુરુદેવના માનવતા અને સેવાના કાર્યોની પ્રશસ્તિ કરીને એમના દીર્ઘ આયુષ્યની શુભેચ્છા વંદના અર્પણ કરી આગામી ચાતુર્માસ ગોંડલ પધારવા આખી કમિટી સાથે વિનંતી વ્યકત કરેલ. રાજકોટ રોયલ પાર્ક સંઘ પ્રમુખ  ચંદ્રકાંતભાઇ શેઠે આ અવસરે પરમ ગુરૂદેવ દ્વારા સમગ્ર વિશ્વમાં અનેરી વિચારધારા સાથે થઈ રહેલા સેવાના કાર્યોની પ્રશસ્તિ કરીને પરમ ગુરૂદેવ જેવા સંતની પ્રાપ્તિ બદલ સ્વયંને સદભાગી તરીકે ઓળખાવ્યા હતા.

ઊપસ્થિત જન જનના હૃદય હર્ષ હર્ષનો જયનાદ કરી રહ્યા જ્યારે રાજકોટના લાભાર્થી કાંતિભાઈ લાઘાભાઇ શેઠ પરિવાર દ્વારા પરમ ગુરુદેવને અત્યંત અહોભાવથી શાલ અર્પણ કરવામાં આવી હતી.  કુંજનબેન મુલરાજભાઈ છેડાની શુભ ભાવના સાથે આ અવસરે મૂકબધિર ભાવિક દ્વારા શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની વિશેષરૂપે પ્રસ્તુતિ કરવામાં આવતા સૌના હૃદય સ્પંદિત બની ગયા હતા.

મહામાનવતા મહોત્સવના અવસરે ઘાટકોપરના શ્રી ઉર્વીશભાઈ વોરા તરફથી અઢી કરોડ રૂપિયા જરૂરિયાતમંદ ગરીબ સ્થાનકવાસી જૈન ભાવિકના ઈમરજન્સી ઓપરેશન માટે અર્પણ કરવામાં  આવેલ.  આ અવસરે પરમ સાધના અને પરમ પ્રેરણા તેમજ આભામંડળ પુસ્તિકાનું વિમોચન   અજયભાઈ શેઠ,   રમેશભાઈ મોરબીયા, કિરીટભાઈ મહેતા,   ગિરિશભાઈ, મનસુખભાઇ કોઠારી આદિ એ કરેલ.

  ઉવસગ્ગહરં સ્તોત્ર મંગલ કુંભનો લાભ કચ્છના S.P.M પરિવારે, અમદાવાદના  જતેનભાઈ તથા આસિતભાઈ મહેતાએ,  અજમેરા પરિવારે, છાબડીયા પરિવારે તેમજ ભાયાણી પરિવારે લીધો હતો. આ અવસરે ૫૧ કીલોના લાડવાનો લાભ  નટુદાદા શેઠ પરિવારે તથા  કિરીટભાઈ મહેતા પરિવારે લીધો હતો. સૌના વહાલા, સૌના પ્યારા એવા પરિકલ્પિત પાત્ર સિદ્ધમ દ્વારા અને વિવિધ પ્રાંતીય ભાષામાં ૫૦ બાળકો દ્વારા પરમ ગુરુદેવના સ્વાસ્થ્ય આરોગ્યની શુભેચ્છા આપવામાં આવેલ.

છેલ્લા સાત દિવસથી દેશ અને વિદેશના અનેક ક્ષેત્રોમાં ગરીબ લોકોને વસ્ત્રદાન, અન્નદાન, ફુટ, ડ્રાયફ્રટ, જીવન જરૂરી વસ્તુઓના અનુદાન, અબોલ પશુ પંખીને લાખો રૂપિયાના દાણા પાણી, ઘાસચારો, મિષ્ટ ભોજન અર્પણ કરવાના સત્કાર્યો સાથે જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ માટે નજીવા દરે ડાયાલિસિસની વ્યવસ્થા, તેમજ મેડીકલ ટેસ્ટિંગની યોજનાઓ જેવા અનેક પ્રકારના માનવતા અને જીવદયાના  પ્રકલ્પો સાથે ૫૩હજારથી વધારે ભાવિકોને રિલાયન્સ પરિવારના ઉપક્રમે અનંત અહંમ આહારના દાન સાથે માનવતા મહોત્સવ  મહેકી ઉઠેલ. 

(3:32 pm IST)