રાજકોટ
News of Monday, 27th September 2021

મનપા દ્વારા દિવ્યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો માટે ઘર બેઠા વેકસીન મુકવાનો પ્રારંભ

શહેરમાં ૧૦૦ ટકા વેકિસનેશન કરવા નવા અભિગમની શરૂઆત :હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૨૨૦૬૦૦ ઉપર સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધીમાં નામ નોંધાવવા મ્યુ. કમિશનર અમિત અરોરાની અપીલ

રાજકોટ તા. ૨૭ : શહેરમાં ચાલી રહેલ વેકસીનેશન કામગીરી અંતર્ગત શહેરને ૧૦૦% વેકસીનેશન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં નિયત કરેલ કોરોના વેકસીન સેન્ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે, પરંતુ હજુ એવા પણ લોકો છે જે વેકસીન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘરે બેઠા કોરોના વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરના દિવ્યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૨૨૦૬૦૦ પર ફોન કરવાથી ઘરે આવીને કોરોના વેકસીન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકો કે જેઓ દિવ્યાંગ, શારીરિક રીતે અશકત કે પથારીવશ છે જેમને કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ લેવાનો હોય અથવા પ્રથમ ડોઝ લીધાન ૮૪ દિવસ પછી બીજો ડોઝ લેવાનો થતો હોય અથવા કોવેકસીન રસીનો બીજો ડોઝ લેવાનો થતો હોય તેઓએ હેલ્પલાઈન નંબર ૦૨૮૧-૨૨૨૦૬૦૦ પર ફોન કરવાનો રહેશે જે માટે આ મુજબ વિગતોએ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દિવ્યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લાભાર્થીઓને આ વ્યવસ્થાનો લાભ મળશે. લાભાર્થીએ હેલ્પલાઇન નંબર પર સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી જ ફોનમાં વેકસીન લેનારની વિગત નોંધાવવાની રહેશે. હેલ્પલાઇન કંટ્રોલ રૂમમાંથી જે-તે નજીકના આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા લાભાર્થીઓને જે-તે આરોગ્ય કેન્દ્ર દ્વારા વેકસીનની સેવા લાભાર્થીને ઘરે પુરી પાડવામાં આવશે. વેકસીનના સ્ટોકની ઉપલબ્ધી, વેકસીન સેસનના સમય, જે-તે આરોગ્ય કેન્દ્રના લાભાર્થીની સંખ્યા વિગેરે બાબતો તથા વેકસીન ગાઈડલાઈનને અનુસરીને હેલ્પલાઇનમાં મળેલ માહિતી બાદ ૨૪ થી ૪૮ કલાકમાં લાભાર્થીને ઘરે વેકસીન આપવાની વ્યવસ્થા ગોઠવેલ છે.

હેલ્પલાઇનમાં લાભાર્થીએ મોબાઈલ નંબર, રહેણાંકનું પૂરું સરનામું, વેકસીનના પ્રથમ કે બીજા ડોઝની માહિતી અચૂક લખાવવાની રહેશે. જયારે પણ કોર્પોરેશનની વેકસીનેશન ટીમ ઘરે રસી આપવા માટે આવે ત્યારે લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર તથા લીધેલ વેકસીનની વિગત સ્થળ પર અચૂકપણે રાખવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ અભિગમમાં શહેરના દિવ્યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો નિઃશુલ્ક વેકસીનેશન સેવાનો લાભ લેવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અપીલ કરે છે.

(3:21 pm IST)